કોરોના વાયરસનો હજી સુધી કોઈ ઉપાય મળ્યો નથી, જોકે તેની રસી શોધ દુનિયાભરમાં તેજ થઈ રહી છે. આ બધાની વચ્ચે, WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાયરસનો રામબાણ ઈલાજ ક્યારેય નહીં મળે. WHO નાં ડિરેક્ટર ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસ એક વર્ચ્યુઅલ બ્રીફિંગને સંબોધન કરી રહ્યા હતા. ગેબ્રિયેસસે કહ્યું કે ઘણી રસીઓ હાલમાં ત્રીજા તબક્કાના પરીક્ષણમાં છે અને ટૂંક સમયમાં અસરકારક રસી મળે તેવી અપેક્ષા છે, જે લોકોને ચેપથી બચાવી શકે છે. જો કે, હાલમાં, તેના માટે કોઈ રામબાણ ઈલાજ નથી અને તે ક્યારેય મળી શકશે નહીં. વિશ્વભરમાં ચાલી રહેલી રસીની શોધ અંગે ગેબ્રિયેસસે કહ્યું, “એવી આશંકા છે કે આપણને અસરકારક રસી ન મળે અથવા તે ફક્ત થોડા મહિનાઓ સુધી કામ કરી શકે.” પરંતુ જ્યાં સુધી આપણે ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ ન કરીએ ત્યાં સુધી આપણે તેના વિશે કંઇ જાણી શકતા નથી. WHO પ્રમુખે લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર રાખવા, હાથ ધોવા અને ટેસ્ટ કરાવવા જેવા પગલાંઓ ચાલુ રાખવાની વિનંતી કરી.
તેમણે કહ્યું, ‘લોકોનો સ્પષ્ટ સંદેશ છે કે તમારે કોરોના વાયરસ સામે તમામ પગલાં ભરવા પડશે. ઉપરાંત, માસ્કને વિશ્વભરમાં એકતાનું પ્રતીક બનાવવું જોઈએ. WHOનાં ઇમરજન્સી ચીફ માઇક રેયાનનું કહેવું છે કે બ્રાઝિલ અને ભારત જેવા ઉચ્ચ ચેપવાળા દેશોએ કોરોના સામે લાંબી લડાઇ ચાલુ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું, “આ માર્ગ લાંબો છે અને પ્રયત્નો ચાલુ રાખવાની જરૂર છે.” માઇક રેયાને કહ્યું,”કેટલાક દેશોએ વાસ્તવમાં હવે એક પગલું આગળ ભરવું પડશે અને તેઓ તેમની રાષ્ટ્રીય સરહદોમાં રોગચાળાનો ઉકેલ કેવી રીતે લાવી રહ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.” આ પહેલાં પણ WHOએ કોરોના વાયરસ પર લોકોને ચેતવણી આપી ચૂક્યુ છે કે તેઓને આ પ્રકારની ગેરસમજોમાં ન આવવું જોઈએ કે કોરોના વાયરસ એક મોસમી રોગ છે, જે ઋતુ બદલાતાં જ ઓછો થઈ જશે. WHO ના પ્રવક્તા માર્ગરેટ હેરિસે વર્ચ્યુઅલ બ્રીફિંગમાં કહ્યું હતું કે કોરોના વાયરસનો રોગચાળો દરિયાનાં મોટા મોજા જેવો છે. હેરિસે કહ્યું, ‘લોકો હજી પણ તેને મોસમી રોગ તરીકે જોઈ રહ્યા છે. આપણે બધાને સમજવાની જરૂર છે કે આ એક નવો વાયરસ છે, જે જુદી જુદી રીતે વર્તન કરી રહ્યો છે અને આ વાયરસ દરેક ઋતુમાં જીવશે. કોરોનાના વધતા જતા કેસો તરફ ઇશારો કરતાં હેરિસે કહ્યું કે આપણે વધુ જાગૃત રહેવાની અને સલામતીના નિયમોનું પાલન કરવાની જરૂર છે. તેમણે લોકોને ચેતવણી પણ આપી હતી કે તેઓ એકઠા ન થાય.