મહારાષ્ટ્ર સહિતના કેટલાંક રાજ્યોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. એમાંય મહારાષ્ટ્રમાં તો કોરોનાને કારણે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્રના અનક જિલ્લાઓમાં લોકડાઉન પણ લાગુ કરી દેવાયું છે. મહારાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં પણ સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાઇ છે. ત્યારે હવે હિમાચલ પ્રદેશમાં પણ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં સ્કૂલ-કોલેજો અને યુનિવર્સિટી સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ ચાર એપ્રિલ-2021 સુધી બંધ રહેશે. રાજ્યમાં કોરોનાના કેસ વધવાના કારણે હિમાચલ પ્રદેશની સરકારે આ નિર્ણય કર્યો છે. શાળા-કોલેજોમાં શિક્ષક તેમજ અન્ય સ્ટાફ જ માત્ર સંસ્થા ખાતે આવશે.રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે રાજ્ય તંત્રની એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય જાહેર કર્યો છે.
જો કે સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પ્રતિબંધમાંથી બાકાત રાખ્યાં છે. જે શાળા અને કોલેજમાં પરીક્ષા ચાલી રહી છે તેમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. બોર્ડિંગ સ્કૂલોમાં હોસ્ટેલ સુવિધા ચાલુ રહેશે. આ ઉપરાંત હોળીને લઇને કોઇ પણ જાતના કાર્યક્રમો આયોજીત કરી શકાશે નહીં. રાજ્યનાં મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે લોકોને અપીલ કરી કે તેઓ પોતાના ઘરમાં જ હોળીનો તહેવાર મનાવે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ પણ કોરોનાની હાલત ફરીથી ગંભીર થવા લાગ્યા છે. મુંબઇમાં છેલ્લાં 24 કલાકમાં 5,504 નવા કેસ બહાર આવ્યા છે અને આ દરમિયાન 4 દર્દીઓનું મોત થયું છે. મુંબઇમાં 75 દિવસમાં ડબલિંગ રેટ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં છેલ્લાં કેટલાંક દિવસથી ભારે ઉછાળો આવી રહ્યો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં કોરોનાની બીજી લહેર રોકવા માટે લોકડાઉન લાગુ કરાઇ રહ્યું છે. મરાઠાવાડાના નાંદેડમાં ૨૫ માર્ચથી 4 એપ્રિલ વચ્ચે કડક લોકડાઉન લાગુ કરાયું છે. બીડમાં 26 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે જ્યારે પરભણીમાં 24 માર્ચથી પહેલી એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરાયું છે.