World News:
નવા વર્ષના પ્રથમ દિવસે 1 જાન્યુઆરીએ જાપાનમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર 7.5ની તીવ્રતાના ભૂકંપના કારણે દેશના ઘણા વિસ્તારોમાં નુકસાન થયું હતું. ખાસ કરીને નોટો પેનિનસુલામાં તબાહીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. હવે સેટેલાઇટ તસવીરોથી જાણવા મળ્યું છે કે જાપાનમાં આવેલા ભૂકંપને કારણે ત્યાંના ઘણા ટાપુઓ દરિયાની સપાટીથી થોડા ઉંચા થયા છે અને તેમના કિનારા પણ બદલાયા છે. એટલે કે દરિયા કિનારાથી દૂર ગયો છે.
સેટેલાઈટ ઈમેજીસ પરથી નોટો પેનિનસુલા વિશે મહત્વની માહિતી પ્રાપ્ત થઈ છે. Nahel Belgherze નામના એક્સ યુઝરે જાપાનના નોટો પેનિનસુલાની તસવીરો શેર કરી છે. ત્યાંના દરિયાકાંઠાના ચિત્રો દર્શાવે છે કે દરિયાકાંઠો સમુદ્રથી દૂર ખસી ગયો છે. ભૂકંપ અને સુનામી પછી ભૌગોલિક પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ છે તે તસવીરોમાં જોવા મળે છે.
લાઈવ સાયન્સના રિપોર્ટ અનુસાર, ટોક્યો યુનિવર્સિટીના અર્થકવેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સંશોધકોએ કહ્યું છે કે નોટો પેનિનસુલાના ઉત્તર પશ્ચિમ કિનારે તપાસ દરમિયાન કાઈસોથી અકાસાકી સુધીના 10 સ્થળોએ જમીન ઉત્થાનના પુરાવા મળ્યા છે.
દરિયાકાંઠાના સ્થળાંતર અને જમીન ઉત્થાનને કારણે, ઘણા બંદરો સુકાઈ ગયા છે કારણ કે પાણી કિનારાથી દૂર ખસી ગયું છે. જેના કારણે બોટ ચલાવવી મુશ્કેલ બની રહી છે. અન્ય એક અહેવાલ મુજબ ભૂકંપ બાદ જાપાનમાં ઘણી જગ્યાએ જમીન ઉછળી છે. ઘણી જગ્યાએ જમીન 13 ફૂટ સુધી વધી ગઈ છે.