કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશો પૈકી ફ્રાન્સમાં કરાયેલા તાજેતરના રિસર્ચ મુજબ નિકોટીન લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપી શકે એમ છે. પેરિસના વિખ્યાત હોસ્પિટલના રિસર્ચરે 343 કોરોનાગ્રસ્ત દર્દીઓની તપાસ કરી, જેમાંથી 139 લોકોમાં બીમારીના સામાન્ય લક્ષણ જોવા મળ્યા હતા. આ દર્દીઓ પૈકી માત્ર પાંચ ટકા લોકો જ ધૂમ્રપાન કરતા હતા. ગત મહિને ઇગ્લેન્ડના એક જર્નલમાં છપાયેલા રિસર્ચ મુજબ, ચીનમાં કોરોનાનો શિકાર બનેલા 1000 લોકોમાં 12.6 ટકા લોકો ધૂમ્રપાન કરતા હતા. WHO મુજબ ચીનના દર્દીઓની સંખ્યાની સરખામણીએ ધૂમ્રપાન કરનારા દર્દીઓની સંખ્યા ઓછી છે.
રિસર્ચ મુજબ નિકોટીન વાયરસને કોશિકાઓ સુધી પહોંચતા અટકાવે છે. જેથી ફેલાવા પર અંકુશ રહે છે. રિસર્ચર હવે ફ્રાન્સના સ્વાસ્થ વિભાગ પાસેથી આ સંદર્ભે ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરીની રાહ જોઇ રહ્યા છે.
તેમણે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ પર પણ આ રિસર્ચ દરમિયાન ટેસ્ટ કરવાની માંગ કરી છે જેથી પરિણામો મેળવી શકે. તેમણે સ્પષ્ટતા પણ કરી છે કે આ રિસર્ચનો ઉદેશ લોકોને ધૂમ્રપાન માટે પ્રોત્સાહન આપવાનું નથી. સિગરેટમાં મળી આવતુ નિકોટીન કોરોના વાયરસ સામે લડી શકે છે, પરંતુ તે શરીર માટે પણ નુકસાનકર્તા છે.
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં તમાકુને લીધે વાર્ષિક મૃત્યુદર ઘણો ઊંચો છે. અહીં દર વર્ષે આશરે 75 હજાર લોકોના મોત તમાકુના સેવનથી થતી બીમારીઓને કારણે થાય છે. બીજી તરફ કોરોનાથી પ્રભાવિત ફ્રાન્સમાં અત્યાર સુધી 21 હજારથી વધુ લોકો જીવ ગુમાવી બેઠા છે.