આપણને ખબર છે કે આપણે નાક અને મોઢાથી શ્વાસ લઇએ છીએ. એટલે આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઇ રહે છે. આપણે નાક અને મોઢાથી લીધેલું ઓક્સિજન ફેફસામાં જાય છે અને ફેફસાથી લોહીમાં ભળે છે અને ત્યાંથી આખા શરીરને પહોંચે છે. હવે જો તમને કોઇ એમ કહે કે ફેફસા ઉપરાંત આપણે મળદ્વાર મારફતે પણ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડી શકીએ છીએ તો. આવો દાવો જાપાનના એક વૈજ્ઞાનિકે કર્યો છે. તેમનું કહેવું છે કે શરીરના મળદ્વારમાં એવા કોશો હોય છે જેમના દ્વારા આપણે આખા શરીરને ઓક્સિજન મળે તેવી વ્યવસ્થા કરી શકીએ છીએ. આ નવી સિસ્ટમમાં ફેફસા ઉપર લોડ પણ પડતો નથી. આ અંગે તેમણે ડુક્કરો પર પ્રયોગો કર્યા અને તેમાં તેમને સફળતા પણ મળી છે. ટોક્યોની મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટીના તાકાનોરી તાકેબેએ જણાવ્યું કે તેમણે ચાર ડુક્કરો પર આ પ્રયોગો કર્યા હતા. તેમણે બે ડુક્કરોને વેન્ટીલેટર પર મૂક્યા. તેમનું ઓક્સિજન લેવલ ઘટાડી દીધું હતું. એટલે તેમના શરીરમાં ઓક્સિજન ઓછું હતું. હવે તેમને ગુદાદ્વાર પર પરફ્લોરોકાર્બન નામની દવા એનિમા દ્વારા આપવામાં આવી. આમ કરવાથી એમનું ઓક્સિજન લેવલ વધી ગયું. આ રીતે જ તેમણે બીજા બે ડુક્કરો પર પ્રયોગો કર્યા. બીજા બે ડુક્કરોના મળદ્વારમાં ટ્યુબથી આ દવા આપવામાં આવી જેના કારણે પણ ઓક્સિજનનું લેવલ વધી જાય છે. આ પ્રકારની દવા ઓછા મહિને જન્મેલા બાળકો કે જેમના ફેફસા મજબૂત હોતા નથી તેમને આપવામાં આવે છે. જેથી તેઓ શ્વાસ લઇ શકે છે. તાકેબેનું કહેવું છે કે જે રીતે ફેફસા ઓક્સિજનને ખેંચીને લોહીમાં ભેળવે છે તે રીતે જ ગુદાદ્વાર પણ ફેફસાની જેમ જ વર્તે છે. પરંતુ આનો ફાયદો એ છે કે જે દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમના ફેફસા નબળા પડી જાય છે. જો તેમને નાકથી ઓક્સિજન આપવામાં આવે તે ફેફસાને શ્રમ પડે છે જ્યારે મળદ્વારના કોશો નબળા હોતા નથી જેના કારણે તે આસાનીથી ઓક્સિજન લોહીમાં સપ્લાય કરી શકે છે.