અત્યારે જ્યારે કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯થી વિશ્વમાં અનેક સ્થળે કેસો ઘટી રહ્યા છે અને મૃત્યુઆંક ઘટી રહ્યો છે ત્યારે અમેરિકાના એક ડોકટર અને જાણીતા વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે આ તો ફક્ત રિહર્સલ હોઇ શકે છે અને દુનિયાની અડઘી વસ્તીનો સફાયો કરી નાખે તેવો ઘાતક વાયરસ ત્રાટકી શકે છે.
ડો. માઇકલ ગ્રેગર, કે જેઓ એક વૈજ્ઞાનિક છે, મેડિકલ ગુરુ અને શાકાહારનો પ્રચાર કરતા આહારશાસ્ત્રી છે તેમણે ચેતવણી આપી છે કે જો આપણે આપણી જીવન પધ્ધતિ નહીં બદલીએ તો આવો અત્યંત ઘાતક વાયરસ આવી શકે છે, આ વાયરસ મરઘાઓના ફાર્મમાંથી આવી શકે છે એ મુજબની ચેતવણી તેમણે આપી છે. ડો. ગ્રેગર શાકાહારના ચુસ્ત હિમાયતી છે અને શક્કરિયા, ભાજીઓ વગેરે પર જીવે છે. તેઓ કહે છે કે તમામ સ્વરૂપમાં શાકાહાર હાનિકારક છે. તેમણે ચેપી રોગો પર પણ ઘણુ સંશોધન કર્યું છે અને ઘણું લેખન પણ કર્યું છે. હાલમાં એક પુસ્તક તેમણે લખ્યું છે જેમાં તેમણે આ નવા સંભવિત વાયરસ કે વાયરસો અંગે ચેતવણી આપી છે.
તેમના સંશોધનનું તારણ એ છે કે પ્રાણીઓ સાથેનો આપણો ગાઢ સંપર્ક આપણા માટે વાયરસનો ભય ઉભો કરે છે. પ્રાણીઓને પાળવા, મારવા અને તેમને ખાવાથી રોગચાળાઓનું જોખમ વધી જાય છે. વર્ષો પહેલા ક્ષય રોગ ઘેટાઓમાંથી માણસમાં આવ્યો છે, અછબડા ઉંટમાંથી આવ્યા છે, શરદીના વાયરસ ઘોડા તથા અન્ય ઢોરઢાંખરમાંથી આવ્યા છે એમ કહેવાય છે તે રીતે મરઘાઓમાંથી અતિ ઘાતક વાયરસ આવી શકે છે. અમેરિકા, ચીન જેવા દેશોામાં ઘણી ઓછી જગ્યામાં મોટી સંખ્યામાં ફાર્મના મરઘાઓ પાળવામાં આવે છે અને તે ઘણી બિનઅારોગ્યપ્રદ સ્થિતિમાં રાખવામાં આવે છે અને તેમનું માંસ અને ઇંડા મોટા પ્રમાણમાં ખવાય છે તેમાંથી વાયરસ માણસમાં આવી શકે છે એવી ચેતવણી ડો. ગ્રેગરે આપી છે.