કોરોના પછી આ દેશમાં આવતા ટૂરિસ્ટનો અડધો ખર્ચો ત્યાંની સરકાર ઉપાડશે. જાપાન દેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે, જે લોકો કોરોના વાયરસની મહામારી બાદ જાપાન ફરવા જવાનું વિચારી રહ્યા છે તે લોકો માટે સારા સમાચાર છે. રિપોર્ટ્સની જાણકારી મુજબ કોરોના વાયરસની મહામારી પછી જો કોઈ જાપાન ફરવા જશે તો ત્યાંની સરકાર અડધો ખર્ચો આપશે. કોરોના વાયરસ પર કાબૂ મેળવવામાં જાપાન દેશ સફળ રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, ગત મહિને ઈટાલીના સિસલી નામના શહેર તરફથી એ પ્રકારે જાહેરાત કરવામાં આવી હતી કે કોરોના વાયરસની મહામારી પછી અહીં ફરવા આવનાર પર્યટકની પ્લેનની ટિકિટનો અડધો ખર્ચો તેઓ આપશે.
સાથે જ હોટલમાં 3 દિવસ રોકાતા પર્યટકનું એક દિવસનું બિલ પણ સિસલીની સરકાર આપશે. હવે જાપાન પણ પર્યટકોને આકર્ષવા માટે આ પ્રકારનો પ્રસ્તાવ લાવી રહ્યું છે. જાપાનની ટૂરિઝમ એજન્સીએ પર્યટકોના બજેટનો કેટલોક હિસ્સો જાતે ઉઠાવવાની જાહેરાત કરી છે. પરંતુ, આ વિશે હજુ વિસ્તારથી કશું જણાવવામાં આવ્યું નથી. રિપોર્ટ મુજબ આ યોજના માત્ર ડોમેસ્ટિક (સ્થાનિક) પર્યટકો પર લાગુ થશે જ્યારે કેટલાંક લોકોનું એવું પણ કહેવું છે કે ટ્રાવેલ પ્રતિબંધ હટાવ્યા બાદ ઈટાલીની માફક તેઓ ઈન્ટરનેશનલ ટૂરિસ્ટ્સને પેકેજમાં રાહત આપી શકે છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ યોજના જુલાઈ 2020થી લાગુ કરવામાં આવી શકે છે.