એલએસી પાસે ચીને ભારતીય સરહદમાં ઘુસણખોરીના પ્રયાસો વધારતા ભારતીય લશ્કરના જવાનોએ ફરી તેની આ ચાલને નિષ્ફળ બનાવી દીધી છે. છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત ચીને ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારતનું વલણ મક્કમ છે જેને પગલે ચીનના સૈનિકોને પારોઠના પગલાં ભરવા પડ્યા છે. એલએસી પર સ્થિતિ તણાવપૂર્ણ છે. ચીનની આ હરકતથી અમેરિકાએ પણ કડક વલણ અપનાવતા તેને ચેતવણી આપી છે.
અમેરિકાના વિદેશ મંત્રીલાયે જણાવ્યું કે અમે આ મુદ્દે ચાંપતી નજર રાખી રહ્યા છીએ અને શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખીએ છીએ. અગાઉ પણ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ અનેક વખત જણાવ્યું છે કે બેઈજિંગ પોતાના પાડોશીઓ અને અન્ય દેશો સાથે ઘણું આક્રમક બનીને ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના મતે તાઈવાન સ્ટ્રેઈટથી શિનજિયાંત, દક્ષિણ ચીન સમુદ્રથી હિમાલય સુધી સાયબર સ્પેકને લઈને ઈન્ટલ ઓર્ગેનાઈઝેશન સુધી, અમે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે કામ કરી રહ્યા છીએ. ચીન પોતાના જ લોકોને દબાવી રહ્યું છે અને તેના પાડોશીઓને ધમકાવવા માંગે છે. આ તમામ ઉશ્કેરણીઓનો એક જ રસ્તો હોઈ શકે, બેઈજિંગ સામે મક્કમ રીતે ઉભા રહેવુ.
ઉલ્લેખનીય છે કે 29 ઓગસ્ટથી અત્યાર સુધીમાં ચીને ત્રણ વખત એલએસીમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે. પ્રથમ વખત ચીને 29-30 ઓગસ્ટની રાત્રે પેંગોગ વિસ્તારમાં ઘુસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારતીય જવાનોએ તે વખતે ચીનના સૈનિકોને ખદેડી દીધા હતા. 31 ઓગસ્ટના રોજ પણ ચીનના સૈનિકોએ હેલ્મેટ ટોપ પર ફરી દુઃસાહસ કર્યું અને ત્યારે પણ ભારતીય લશ્કરના જવાનોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો.
1લી સપ્ટેમ્બરના ચીનની સેનાના જવાનો પોતાના ચેપુજી કેમ્પથી આગળ વધવા માંગતા હતા. ભારતીય લશ્કરને આ વાતનો અંદાજ આવી ગયો હતો. ભારતીય સેનાની તૈયારીને જોતા ચીનને પણ બેકફુટ પર જવું પડ્યું હતું. લશ્કરની બહાદુરી અને સતત ચાંપતી નજરને પગલે ચીનના સૈનિકો તેમના કેમ્પમાં પરત ફર્યા હતા.