ઉત્તર મ્યાનમારમાં જેડ (જેડાઇટ)ની ખાણમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનથી ગુરુવારે 162 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું મ્યાનમાર સરકારે જણાવ્યું હતું. આ ખીણમાં થયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી જાનહાનિ છે. આ સાથે જ સરકાર પર આ જોખમી જગ્યા અંગે બેદરકારી દાખવવાનો આરોપ પણ લાગ્યો છે.
માહિતી મંત્રાલયે કાચીન રાજ્યના હ્પાકાંતમાં ભૂસ્ખલનની જગ્યા પર મોતની સંખ્યા અંગે 123 મૃતકો હોવાની વાત કહી હતી પરંતુ સ્થાનિક ફાયર સર્વિસે ઘટનાના 12 કલાકો બાદ 162 લાશો ઘટના સ્થળેથી કાઢી છે. વરસાદમાં આસપાસ ભેગા થયેલા લોકોની લાશ, વાદળી અને લાલ પ્લાસ્ટિકની ચાદરમાં ઢાંકવામાં આવી હતી જે જમીન પર સળંગ પાથરવામાં આવી હતી. ભારે કાદવમાંથી આ માઇનીંગના કામદારોની લાશો બહાર કાઢવામાં ઇમરજન્સી કર્મચારીઓએ ભારે મહેનત ઉઠાવી પડી હતી.
આ વિસ્તાર મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનથી ઉત્તરમાં 950 કિલોમીટર (600 માઇલ) દૂર છે અને વિશ્વના સૌથી મોટા અને સૌથી આકર્ષક જેડ માઇનિંગ ઉદ્યોગનું કેન્દ્ર છે. હ્પાકાંતના ધારાસભ્ય, ખીન મૌંગ મૈઇંટે જણાવ્યું હતું કે સ્થાનિક બચાવ સેવાઓએ તેમને જણાવ્યું હતું કે 54 ઘાયલ લોકોને ત્રણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
7 ડે જર્નલની વેબસાઇટએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે 200 લોકોની હજી ગણતરી થઇ નથી. અકસ્માતની અન્ય વિગતો તાત્કાલિક મળી નથી.આવી ખાણકામ સ્થળો પર બનતા અકસ્માતો દુર્લભ નથી. પીડિતો સામાન્ય રીતે ફ્રીલાન્સ માઇનર્સ છે જે પૃથ્વીના વિશાળ ટેકરાની નજીક માઇનીંગ કરે છે જે ભારે મશીનરી દ્વારા મોટા પ્રમાણમાં માઇન કરવામાં આવે છે.