પાકિસ્તાનમાં આઝાદી પહેલા બનેલા એક હનુમાનજીના મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. આ મંદિરની આસપાસ લગભગ 20 જેટલા હિન્દૂ પરિવાર રહે છે. તેમના ઘર પણ તોડી પાડવામાં આવ્યા છે.અહીંયા એક બિલ્ડર વસાહત બનાવી રહ્યો છે. લોકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે સ્થાનિક વહીવટી તંત્ર બિલ્ડરને મદદ કરી રહ્યું છે.
મંદિરમાં રહેલી મૂર્તિઓને પણ ગાયબ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકાર દ્વારા હજી સુધી આ બાબતને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
મંદિરના પૂજારીનો આરોપ છે કે લગભગ 6 મહિના પહેલા એક બિલ્ડરે કરાચીની સીમમાં લાયરીની જમીન ખરીદી હતી. બિલ્ડર અહીંયા વસાહત બનાવવા માંગે છે. આ વિસ્તારમાં 20 હિન્દૂ પરિવાર પણ રહે છે. નજીકમાં જ એક પૌરાણિક હનુમાનજીનું મંદિર આવેલું છે. કોરોનાની મહામારીના કારણે મંદિરને કેટલાક મહિનાથી બંધ કરવામાં આવ્યું હતું.
આ ઘટનાની જાણકારી મળતાં જ હિન્દુ પરિવારો એકઠા થઇ ગયા હતા. આ દરમિયાન પોલીસ પણ પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તાર સીલ કર્યો હતો. હનુમાનજી મંદિર કાટમાળમાં ફેરવાઈ ગયુ હતું. કમિશનર અબ્દુલ કરીમ મેમને કહ્યું હતું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વનું એ છે કે, આ વિસ્તારમાં વસતા બલોચ સમુદાયના લોકો પણ મંદિર તોડવાનો વિરોધ કરી રહ્યા હતા. બલોચ નેતા ઇર્શાદ બલોચે કહ્યું હતું કે, અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. નાનપણથી જ આ મંદિરને અમે જોઈ રહ્યા હતા. તે અમારી ધરોહરનું પ્રતીક હતું.