જર્મન યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે એક ખાસ પ્રોગ્રામ અંતર્ગત એવા વિદ્યાર્થીઓને ગ્રાન્ટ અપાશે કે જે કંઈ જ નહીં કરે. જર્મન યુનિવર્સિટી કંઈ ન કરવા માટે વિદ્યાર્થીઓને 1.4 લાખ રૂપિયાની સ્કોલરશીપ આપશે. આળસુ વિદ્યાર્થીઓને આળસ માટે અનોખી ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ માટે 15 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે.
આ સ્કોલરશીપ માટે અરજી કરનારે બે સવાલોના જવાબો આપવાના રહેશે. તમે કેમ કામ કરવા નથી માગતા? તમે જે કામ કરવા નથી માગતા એ ન કરવું કેમ જરૂરી છે? જે વિદ્યાર્થીઓ આ સવાલના સંતોષકારક જવાબ આપશે તેને 1.4 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે.
આ અનોખી શિષ્યવૃત્તિ ડિઝાઈન કરનારા પ્રોફેસર ફ્રેડરિક વોન બોરિસે જણાવ્યું હતું કે મહાત્વાકાંક્ષા ન હોય એવા વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ તૈયાર કરાઈ છે. શિક્ષણના વર્ષ દરમિયાન કંઈ ન કરવું એ પણ એ પ્રકારનું અલગ માનસ છે. એનો અભ્યાસ કરવા માટે આ ફંડ અપાઈ રહ્યું છે. તેનાથી આળસ કરતા વિદ્યાર્થીઓનું કામ ન કરવાનું માનસ સમજી શકાશે.
પ્રોફેસરે કહ્યું હતું કે નિષ્ક્રિય રહેતા વિદ્યાર્થીઓ માટે એક શરત એ રહેશે કે તેમણે નિષ્ક્રિય રહેવાનું કારણ આપવાની સાથે સાથે દિલચસ્પ રીતે નિષ્ક્રિય રહેવાનો પ્લાન જણાવવો પડશે. તેમણે કહ્યું હતું કે સફળતા અને નિષ્ફળતા વચ્ચે મોટાભાગે આળસનું ફેક્ટર મહત્વનો ભાગ ભજવે છે. આ સમજવા માટે સ્કોલરશીપ ઉપયોગી સાબિત થશે.