US Travel Advisory યુએસએ નાગરિકોને બળાત્કાર, હિંસા અને આતંકવાદના જોખમ અંગે ચેતવ્યા, મહિલાઓને એકલા પ્રવાસથી દૂર રહેવાની સલાહ
US Travel Advisory અમેરિકાએ ભારત અંગે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં મહિલા સુરક્ષા, આતંકવાદ અને નક્સલવાદના જોખમોમાં વધારો થયો છે. 16 જૂન, 2025ના રોજ અપડેટ કરેલી આ Level-2 advisory મુજબ, યુએસ નાગરિકોને “વધારાની સાવધાની” રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને મહિલાઓને ભારતભરમાં એકલા મુસાફરી ન કરવાનું જણાવવામાં આવ્યું છે.
અમેરિકી નાગરિકોને ખાસ ચેતવણી
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ભારતમાં બળાત્કાર અને જાતીય હિંસા ઝડપથી વધતા ગુનાઓમાંનો એક છે. ભીડભાડભર્યા પર્યટન સ્થળો અને જાહેર વિસ્તારોમાં યુએસ નાગરિકોને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. advisoryમાં ખાસ ઉલ્લેખ છે કે ગ્રામીણ વિસ્તારોમાં યૂએસ એમ્બેસી અથવા કોનસ્યુલેટ દ્વારા તાત્કાલિક સહાય પૂરી પાડવી શક્ય નથી.
આતંકવાદ અને નક્સલવાદના ખતરા પર પણ ફોકસ
એડવાઈઝરીમાં આતંકવાદી હુમલાઓની સંભાવનાને લઈને પણ ચેતવણી આપવામાં આવી છે. મોલ, ટ્રાન્સપોર્ટ હબ્સ, સરકારી ઇમારતો અને પર્યટન સ્થળો પર વધારે ખતરો હોવાનું જણાવાયું છે. ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પાસેના વિસ્તારો તથા કાશ્મીરના શહેરો જેવી કે શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામ પણ “સંવેદનશીલ ઝોન” તરીકે દર્શાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, નક્સલવાદી પ્રવૃત્તિઓ અંગે ખાસ ઉલ્લેખ કરીને જણાવાયું છે કે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મેઘાલય, પૂર્વી મહારાષ્ટ્ર અને ઉત્તર તેલંગાણામાં મુસાફરી દરમિયાન ખાસ સાવધાની રાખવી જોઈએ.
કોંગ્રેસનો હુમલો: વૈશ્વિક શરમજનક સ્થિતિ
કોંગ્રેસે મોદી સરકાર પર તીખા પ્રહારો કર્યા છે. કર્ણાટક કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું, “યુએસ ટ્રાવેલ એડવાઈઝરી ભારત માટે ચેતવણી છે! શું આ ‘સુરક્ષિત ભારત’ના દાવાનો અંત છે? મહિલાઓની યાત્રા માટે અનુકૂળ ન હોવું આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને નુકસાન પહોંચાડે છે. આ પીએમ મોદી અને ભાજપ માટે વૈશ્વિક શરમજનક પરિબળ છે.”