યુરોપમાં આવેલો નેધરલેન્ડ દુનિયાના સૌથી ખૂબસુરત દેશોમાંથી એક છે. અહીંનું કુદરતી સૌદર્ય અને સુવિધાઓથી આકર્ષાઈને લાખો લોકો ફરવા માટે જાય છે. જો કે અન્ય એક બાબતે પણ આ દેશ હવે ચર્ચામાં આવ્યો છે અને તે છે દેશની ખાલી પડી રહેલી જેલો. નેધરલેન્ડમાં ક્રાઈમ રેટ એટલો ઝડપથી ઘટી રહ્યો છે કે, દેશની સંખ્યાબંધ જેલો ખાલી પડી છે અને કેટલીક જેલોને તો બંધ કરી દેવી પડી છે. 2013થી જેલોને તાળા મારવાનો સીલસીલો ચાલી રહ્યો છે.2019માં પણ કેટલીક જેલોને અહીંયા બંધ કરી દેવામાં આવી હતી તો કેટલીક જેલોને શરણાર્થીઓ માટેના રેફ્યુજી કેમ્પમાં ફેરવી નાંખવામાં આવી છે. નેધરલેન્ડમાં જેલના કેદીઓ સાથે જે વલણ અપનાવાય છે તેની યુરોપમાં પ્રશંસા થઈ રહી છે. જાણકારોનુ માનવામાં આવે તો નેધરલેન્ડે જે રીતે ગુનેગારો સાથે સહાનૂભૂતિ ભર્યું વલણ અપનાવ્યું છે તેનાથી ગુનાખોરીમાં તો ઘટાડો થયો જ છે પણ બીજા દેશો માટે આ સિસ્ટમ ઉદાહરણીય બની રહી છે.
ખાસ કરીને માનસિક બિમારીથી પિડાતા કેદીઓ પર વિશેષ ધ્યાન અપાય છે. જેમાં સજા કરતા કેદીઓની સમજ બદલવા પર વધારે ભાર મુકાય છે. દેશમાં જે લોકો અપરાધ કરે છે તેમને દંડ કરવામાં આવે છે અથવા તો રિહેબિલિએશન સેન્ટરમાં મોકલવામાં આવે છે. ઉપરાંત જે કેદીઓ પહેલેથી જેલમાં છે તેમની સજા પણ ઓછી કરવામાં આવી રહી છે.એક અહેવાલ પ્રમાણે નેધરલેન્ડમાં પાડોશી દેશ નોર્વેમાંથી કેદીઓને જેલમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેથી બાકીની જેલો ચાલુ રહી શકે. નોર્વેમાં ક્રાઈમ રેટ વધારે છે અને આ દેશમાં જેલમાં કેદીઓની સંખ્યા વધી રહી છે અને જગ્યા ઓછી પડી રહી છે. નેધરલેન્ડમાં દર એક લાખની વસ્તીએ માત્ર પચાસ જ કેદીઓ છે. આ રેશિયો યુરોપમાં સૌથી ઓછો છે. અમેરિકાની વાત કરવામાં આવે તો અહીંયા દર એક લાખની વસતીએ કેદીઓની સંખ્યા 655 જેટલી થવા જાય છે. નેધરલેન્ડ સરકારનો અંદાજ છે કે, 2023 સુધીમાં દેશમાં માત્ર 9810 કેદીઓ હશે.