૮મા પગાર પંચમાં પેન્શનરોના નિયમો બદલાશે: ૧ જાન્યુઆરી ૨૦૨૬ પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓને મોટો લાભ મળવાના સંકેત
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ૮મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને અત્યંત મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે નવું પગાર પંચ માત્ર ચાલુ નોકરી કરતા કર્મચારીઓના પગા ૨ ભથ્થામાં વધારો કરવા પૂરતું સીમિત રહેશે, પરંતુ તાજેતરના સંકેતો દર્શાવે છે કે નિવૃત્ત પેન્શનરોના પેન્શન માળખામાં પણ મોટો સુધારો કરવામાં આવી શકે છે.
લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, ૧ જાન્યુઆરી, ૨૦૨૬ પહેલા નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓના પેન્શનનો ૮મા પગાર પંચના દાયરામાં સમાવેશ કરવા માટે તેના નિયમો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR) માં ફેરફાર થઈ શકે છે. જોકે, આ અંગે સરકારે હજી સુધી કોઈ સત્તાવાર આખરી નિર્ણય જાહેર કર્યો નથી, પરંતુ કર્મચારી અને પેન્શનર મંડળોના સતત દબાણને કારણે સરકાર સકારાત્મક વલણ અપનાવી રહી હોય તેમ જણાય છે.
પેન્શનર સંગઠનોની મુખ્ય માંગણીઓ અને વિરોધ
ભારત પેન્શનર સમાજ (BPS) અને ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશન (AIDEF) સહિતના દેશના અનેક મોટા પેન્શનર સંગઠનો ૮મા પગાર પંચના આદેશો અને નિયમોમાં સુધારાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. સંગઠનોની પ્રાથમિક માંગ એ છે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૬ પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિવારોના પેન્શનનું પુનઃનિર્ધારણ (Pension Revision) કરવામાં આવે. તેમનો દલીલ છે કે પંચે માત્ર વર્તમાન કર્મચારીઓના પગાર પર જ નહીં, પરંતુ વૃદ્ધ પેન્શનરો અને તેમના પરિવારોના આર્થિક હિતોને પણ પ્રાધાન્ય આપવું જોઈએ.
આ ઉપરાંત, સંગઠનોએ ToR માંથી “નોન-કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમનો અનફંડેડ ખર્ચ” જેવા શબ્દો દૂર કરવાની પણ માંગ કરી છે. પેન્શનરોનું કહેવું છે કે નિવૃત્તિ બાદ મળતું પેન્શન એ કોઈ સરકારી બોજ કે બિનજરૂરી ખર્ચ નથી, પરંતુ આજીવન દેશસેવા કરનાર કર્મચારી માટેની સામાજિક અને નાણાકીય સુરક્ષા છે.
સપ્ટેમ્બરમાં યોજાશે નિર્ણાયક બેઠકોનો દોર
આ તમામ માંગણીઓ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે ૮મું પગાર પંચ ટૂંક સમયમાં જ વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનો સાથે સીધી બેઠકો કરવાનો પ્રારંભ કરી રહ્યું છે. આગામી ૩૧ ઓગસ્ટે રાજસ્થાનમાં અને ૭ સપ્ટેમ્બરે તમિલનાડુ ખાતે પેન્શનરો સાથે મહત્વની મંત્રણા યોજાશે. ત્યારબાદ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ચેન્નાઈ અને પુડુચેરીમાં પણ તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંગઠનો પોતાના સૂચનો પંચ સમક્ષ મૂકશે.
શું ToR ના નિયમો બદલી શકાય? ભૂતકાળના ઉદાહરણો
ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે શું એકવાર નક્કી થઈ ગયેલા પગાર પંચના નિયમો બદલી શકાય? તો તેનો જવાબ ‘હા’ છે. પગાર પંચના ToR નિયમો અંતિમ હોતા નથી અને સરકારી જરૂરિયાત તેમજ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં પણ તેમાં ફેરફારો કરવામાં આવ્યા છે.
ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ ૧૯૯૫-૯૬ દરમિયાન ૫મા પગાર પંચ વખતે સરકારે તેના નિયમોમાં ચાર વખત ફેરફાર કર્યા હતા. ત્યારપછી ૬ઠ્ઠા પગાર પંચના નિયમોમાં પણ બે વાર સુધારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સપ્ટેમ્બર ૨૦૧૫ માં ૭મા પગાર પંચના નિયમોમાં પણ સરકારે ફેરફાર કર્યો હતો. તેથી, જો વર્તમાન સરકાર ઈચ્છે, તો તે ૮મા પગાર પંચના દાયરામાં વૃદ્ધ પેન્શનરોના પેન્શનનો સમાવેશ કરવા માટે નિયમોમાં સુધારો કરી જ શકે છે.
