અમદાવાદ: કોરોના ના હાહાકાર અને વૈશ્વિક મહામારી ને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ચારથી વધુ લોકોના એકત્ર થવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી તેનો કડક અમલ કરવા સૂચના આપી છે.
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ શુક્રવારે જાહેરનામું જારી કર્યું છે, જેમાં જણાવાયું છે કે, હાલમાં વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારતમાં પણ 200થી વધુ કેસો નોંધાયા છે. તેમજ હાલમાં અમદાવાદમાં પણ કોરોનો ના 3 કેસો પોઝીટીવ આવ્યા છે. નોવેલ કોરોના વાઇરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની તકેદારીના પગલાંરૂપે લોકોની વધુ અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા માટે અમદાવાદ કમિશનરેટની હદ વિસ્તારમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ જાહેરનામામાં જણાવાયું છે કે, આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને 1860ની કલમ -188 તથા ગુજરાત પોલીસ એકટની કલમ -135 મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામામાં સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમને હોમગાર્ડ જેઓ ફરજ પર હોય તેઓ તથા સ્મશાનયાત્રા અપવાદરૂપ છે.
અમદાવાદ શહેરના ત્રણ દરવાજા અને ભદ્ર તેમજ ઢાલગરવાડના બજારો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈને શુક્રવારે સ્થાનિક પોલીસે આ તમામ બજારને તકેદારીરૂપે બંધ કરાવી દીધા હતા.
આ વાઇરસ ફેલાવાની શક્યતાઓ વધુ હોવાથી બજારો મોલ મલ્ટિપ્લેકસ અને સિનેમાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આમ અમદાવાદમાં આ જાહેરનામા નો કડક અમલ કરાશે અને ફોજદારી પગલાં ભરવાની પણ ચીમકી અપાઈ છે.
