ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, પ્રેક્ટિસ સેશન દરમિયાન સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત
ટી20 વર્લ્ડ કપ 2026માં સતત બીજી વખત ખિતાબ જીતવાના ઈરાદા સાથે ઉતરેલી ભારતીય ટીમને ટુર્નામેન્ટના શરૂઆતના તબક્કામાં જ ફિટનેસની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ કેટલાક ખેલાડીઓ ઈજામાંથી સાજા થઈને ટીમમાં પરત ફરી રહ્યા છે, તો બીજી તરફ નવા ફિટનેસ અપડેટ્સે ટીમ મેનેજમેન્ટની ચિંતામાં વધારો કર્યો છે.
તાજેતરમાં જ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ફિટ થઈને ટીમ સાથે જોડાયા છે, પરંતુ હવે અન્ય એક ખેલાડી ઈજાગ્રસ્ત થવાના સમાચારથી હલચલ મચી ગઈ છે. મળેલી માહિતી મુજબ, પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતના યુવા વિકેટકીપર-બેટ્સમેનને પગમાં ઈજા થઈ હતી.
નેટ્સમાં થયો અકસ્માત
બુધવાર સાંજે ટીમનું પ્રેક્ટિસ સેશન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચાલી રહ્યું હતું. આ દરમિયાન નેટ્સમાં બેટિંગ કરતી વખતે ભારતીય ઓપનર એક ઝડપી યોર્કરનો શિકાર બન્યા હતા. બોલ સીધો તેમના પગના પંજા પર વાગ્યો હતો, જેના કારણે તેઓ દર્દથી કણસતા જોવા મળ્યા હતા અને તરત જ પ્રેક્ટિસ રોકવી પડી હતી. મેડિકલ સ્ટાફ તાત્કાલિક મેદાન પર પહોંચ્યો અને પ્રાથમિક તપાસ કરી હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બોલ ખૂબ જ તેજ ગતિએ આવ્યો હતો અને બેટ્સમેન તેને યોગ્ય રીતે ડિફેન્ડ કરી શક્યા નહોતા. ઈજા થયા બાદ તેઓ થોડીવાર સુધી ઉભા પણ રહી શક્યા નહોતા, જેનાથી ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી ગઈ હતી.
રાહતના સમાચાર, પરંતુ અનિશ્ચિતતા યથાવત
જોકે, શરૂઆતના ડર પછી થોડી રાહત પણ મળી છે. પ્રાથમિક સારવાર બાદ ખેલાડી ફરીથી નેટ્સમાં પરત ફર્યા હતા અને હળવી બેટિંગ કરી હતી. આમ છતાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જણાતા નહોતા અને ચાલતી વખતે સહેજ લંગડાતા હોય તેવું લાગતું હતું.
હવે સૌની નજર ભારતની આગામી મેચ પર ટકેલી છે, જે ગુરુવારે નામીબિયા સામે રમાવાની છે. ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર, અંતિમ નિર્ણય મેચ પહેલા ફિટનેસ ટેસ્ટ બાદ જ લેવામાં આવશે.
ઓપનિંગ જોડી પર શું અસર પડશે?
અગાઉથી જ અન્ય એક ઓપનર બીમારીના કારણે સંપૂર્ણ ફિટ નથી. આવી સ્થિતિમાં જો ઈજાગ્રસ્ત બેટ્સમેન પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ જાય છે, તો ટીમ ઈન્ડિયાએ ઓપનિંગ જોડીમાં ફેરફાર કરવો પડી શકે છે. ટીમ મેનેજમેન્ટ અત્યારે સંભવિત વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.
ટીમ મેનેજમેન્ટ અને ચાહકો બંને એવી આશા રાખી રહ્યા છે કે ઈજા ગંભીર નહીં હોય અને ખેલાડી જલ્દીથી સંપૂર્ણ ફિટ થઈને મેદાન પર વાપસી કરશે. હાલમાં ભારતીય છાવણીમાં સાવચેતી અને રાહ જોવાનો માહોલ છે.

