“રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી” વિષયક બે દિવસીય સંસ્કૃત સમારોહનું ભવ્ય આયોજન
સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર વૈદિક સંસ્કૃતિના પુનરુદ્ધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના પ્રદાનને ઉજાગર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પર બે દિવસીય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સમારોહનો શુભારંભ કરાવીને જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતીએ સમયની જરૂરિયાત મુજબ અનેક યુગપુરુષો આપ્યા છે. ટંકારામાં જન્મેલા સ્વામી દયાનંદજીએ સ્વભાષા, સ્વદેશી અને નારી સશક્તિકરણનો જે મંત્ર આપ્યો હતો તે આજે પણ એટલો જ પ્રાસંગિક છે. તેમણે વર્ષ ૧૮૭૫માં આર્ય સમાજની સ્થાપના કરીને સમાજમાં વ્યાપ્ત કુરિવાજો સામે પરિવર્તનનું શંખનાદ ફૂંક્યું હતું.
રાજ્યપાલશ્રીએ મહર્ષિ દયાનંદજીના વૈચારિક વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતની આઝાદીના લડવૈયાઓ પણ તેમના ક્રાંતિકારી વિચારોથી પ્રભાવિત હતા. તેમણે ઋષિ પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરીને ૪૦ જેટલા અમૂલ્ય ગ્રંથોની રચના કરી હતી. સ્વામીજીએ “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે…” ના સૂત્રને ચરિતાર્થ કરી સ્ત્રી શિક્ષણ અને ઉત્થાન માટે પાયાનું કાર્ય કર્યું હતું. ખાસ કરીને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા ક્રાંતિવીરોના ગુરુ તરીકે પણ દયાનંદજીનું સ્થાન અત્યંત મહત્વનું રહ્યું છે. રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે, શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓ ભારતમાં લાવવાની ઈચ્છા પ્રધાનમંત્રીશ્રીએ જ પૂર્ણ કરી છે, જે ઋષિ પ્રત્યેની સાચી કૃતજ્ઞતા છે.
યુનિવર્સિટીના કાનજી બૂટા બારોટ રંગમંચ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલપતિ પ્રો. ડૉ. ઉત્પલ જોશીએ મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાની મહત્વની જાહેરાત કરી હતી. આ કેન્દ્ર માટે રાજ્ય સરકાર તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી પણ રાજ્યપાલશ્રીએ આપી હતી. બે દિવસ દરમિયાન યોજાનારા ૧૨ શૈક્ષણિક સત્રોમાં વેદાર્થ વિમર્શ, નારી વિમર્શ અને સામાજિક સમરસતા જેવા વિષયો પર દેશભરના વિદ્વાનો ચિંતન-મંથન કરશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યપાલશ્રીએ યજ્ઞમાં આહુતિ આપી વિશ્વ શાંતિની પ્રાર્થના કરી હતી.

