સલીમ ખાન હેલ્થ અપડેટ: સલમાન ખાનના પિતાને માઈનોર બ્રેન હેમરેજ, હાલ વેન્ટિલેટર પર પણ સ્થિતિમાં સુધારો
બોલિવૂડના દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઈટર અને સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયતને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા બાદ હવે રાહતના અપડેટ્સ મળી રહ્યા છે. મંગળવારે સવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયેલા સલીમ ખાનને હળવું બ્રેન હેમરેજ થયું હોવાનું તબીબોએ પુષ્ટિ કરી છે. હાલ તેઓ આઈસીયુમાં વેન્ટિલેટર પર છે, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે તેમની સ્થિતિ હવે પહેલા કરતા ઘણી સ્થિર છે.
શું કહેવું છે ડોક્ટરોનું?
લીલાવતી હોસ્પિટલના ડોક્ટર જલીલ પારકરે સલીમ ખાનની હેલ્થ અંગે બુધવારે સવારે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું હતું કે, “સલીમ ખાનને ખૂબ જ મિનિમલ (હળવું) બ્રેન હેમરેજ થયું હતું. તેના માટે DSA નામની એક બેઝિક પ્રોસિજર કરવામાં આવી છે, જે સંપૂર્ણ સફળ રહી છે. સૌથી રાહતની વાત એ છે કે તેમના પર કોઈ મોટી સર્જરી કરવાની જરૂર પડી નથી. હાલ તેઓ વેન્ટિલેટર પર છે, પરંતુ આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં તેમને વેન્ટિલેટર પરથી હટાવી લેવામાં આવશે. તેઓ પહેલા કરતા વધુ સારી રીતે રિકવર કરી રહ્યા છે.”
હોસ્પિટલમાં ખાન પરિવારનો જમાવડો
સલીમ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર મળતા જ આખો પરિવાર લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયો હતો. સૌથી પહેલા સલમાન ખાન હોસ્પિટલ આવ્યો હતો, ત્યારબાદ તેની બહેન અલવીરા, અર્પિતા, સોહેલ, અરબાઝ ખાન અને હેલન પણ ત્યાં પહોંચી ગયા હતા. પરિવાર ઉપરાંત બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ સલીમ ખાનની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ખાન પરિવારની વિનંતીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલે દર્દીની પ્રાઈવસી જાળવી રાખી છે.
View this post on Instagram
તબીબોની સ્પેશિયલ ટીમ દ્વારા સારવાર
સલીમ ખાનની સારવાર માટે હોસ્પિટલે 4 નિષ્ણાત ડોક્ટરોની ટીમ બનાવી છે. જેમાં ન્યુરોલોજીસ્ટ ડો. વિનય ચવ્હાણ, કાર્ડિયોલોજિસ્ટ ડો. અજીત મેનન, ન્યુરોસર્જન ડો. નીતિન ડાંગે અને ડો. બિનીત આહલુવાલિયાનો સમાવેશ થાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 8:30 વાગ્યે જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તાત્કાલિક ઈમરજન્સી કેર શરૂ કરી દેવામાં આવી હતી.
