લોકડાઉન વચ્ચે લોકોની સુરક્ષા માચે પોલીસ લોકોને ઘરમાં રહેવા માટેની અપીલો પણ કરી રહી છે. ઘણા લોકો રાતના સમયે પોતાની સોસાયટીમાં ભેગા થઈ બેસતા હોય છે. ત્યારે પોલીસ રાતના સમયે પણ નાઇટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને લૉકડાઉનનો ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરશે. જેની શરૂઆત શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારથી કરવામાં આવી છે.
વધુ માહિતી આપતા શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે, અત્યાસુધીમાં ડ્રોન કેમેરાનો દિવસમાં જ ઉપયોગ થયો છે. હવે પોલીસે નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે મંગળવારે શાહપુર વિસ્તારમાં નાઇટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવેથી શહેરના અન્ય વિસ્તારોમાં પણ તેની શરૂઆત કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેર પોલીસ પાસે અત્યારે 28 ડ્રોન કેમેરા છે, જેના માધ્યમથી અત્યાર સુધીમાં 607 ગુના દાખલ કરી 1595 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે ડ્રોનના માધ્યમથી 69 ગુના દાખલ કરી 92 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને પીસીઆર વાન દ્વારા પણ 75 ગુના નોંધી ધરપકડ કરવામાં આવી હતી.