લોક પ્રતિનિધિઓના પ્રશ્નો પર જિલ્લા પ્રશાસન સક્રિય, સમયમર્યાદામાં નિકાલ માટે ક્લેક્ટરશ્રીનો સ્પષ્ટ આદેશ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ લોકોના પડતર પ્રશ્નો અને લોક પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સમસ્યાઓનો ઝડપથી નિકાલ લાવવાનો હતો. કલેક્ટરશ્રીએ તમામ વિભાગીય અધિકારીઓને તાકીદ કરી હતી કે જે પણ પ્રશ્નો રજૂ થયા છે, તેને નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલવા અને ચાલી રહેલા વિકાસકામોની પ્રગતિની નિયમિત સમીક્ષા કરવી.
શાપર-વેરાવળ આરોગ્ય કેન્દ્ર અને પુલના નિર્માણ અંગે મહત્વની ચર્ચા
બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયાએ હરિપર ખારી રોડ પરના પુલનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના જવાબમાં અધિકારીઓએ જણાવ્યું કે આ પુલ માટે નવી દરખાસ્ત મંજૂરી માટે મોકલી દેવામાં આવી છે. તેવી જ રીતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ શાપર-વેરાવળમાં બની રહેલા નવા પી.એચ.સી. (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) વિશે પૂછતા જાણવા મળ્યું હતું કે મુખ્ય બિલ્ડિંગનું કામ હવે પૂરું થઈ ગયું છે. આ આરોગ્ય કેન્દ્રને વહેલી તકે લોકોની સેવા માટે શરૂ કરી દેવા આદેશ અપાયા છે.
શાસ્ત્રી મેદાનની સુરક્ષા અને દબાણ હટાવવાની કડક કાર્યવાહી
રાજકોટના જાણીતા શાસ્ત્રી મેદાનના પ્રશ્ન અંગે કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે મેદાનમાંથી તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે. હવે મેદાનની સુરક્ષા માટે ત્રણેય ગેટ પર સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે. જે લોકો ગેટને નુકસાન પહોંચાડે અથવા મેદાનમાં કચરો ઠાલવે, તેમના વાહનો જપ્ત કરવા અને કડક દંડ વસૂલવા પોલીસ અને સંબંધિત તંત્રને સૂચના અપાઈ છે. આ ઉપરાંત શાપર-વેરાવળની બુધવારી બજારમાં સ્વચ્છતા જાળવવા પણ ફેરિયાઓને કડક સૂચના આપવામાં આવી છે.
અનાજ એ.ટી.એમ. અને પ્લોટ ફાળવણી અંગે રજૂઆત
ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબહેન શાહ દ્વારા વોર્ડ નંબર ૧૧ માં પ્લોટની માલિકી અને સરકારની નવી યોજના મુજબ ‘અનાજ એ.ટી.એમ.’ (Grains ATM) શરૂ કરવા માટે જગ્યા ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ આ બંને બાબતે હકારાત્મક અભિગમ અપનાવીને યોગ્ય જગ્યાની શોધખોળ કરી પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

