સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિકાસ, શિક્ષણ અને શહેરી સુવિધાઓ અંગે કલેકટરશ્રીની સ્પષ્ટ દિશા
સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના મેયર અને વિવિધ ધારાસભ્યોએ પ્રજાના હિતને લગતા અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ કરીને મેયર દક્ષેષ માવાણીએ ગત વર્ષે ખાડી વિસ્તારમાં આવેલા પૂરની સ્થિતિ ફરી ન સર્જાય તે માટે ડ્રેનેજ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવા રજૂઆત કરી હતી. કલેક્ટરે આ કામગીરીને પ્રાથમિકતા આપી તળાવોના દબાણ દૂર કરવા સૂચના આપી હતી.
મહિલા પોસ્ટ ઓફિસ અને અશાંતધારાના નિયમો અંગે રજૂઆત
ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ ઝાંપાબજાર ખાતે આવેલી ગુજરાતની એકમાત્ર ‘વુમન પોસ્ટ ઓફિસ’ને બંધ ન કરવા વિનંતી કરી હતી. જેના સંદર્ભે કલેક્ટરે આ પોસ્ટ ઓફિસ ચાલુ રહે તે માટે યોગ્ય અભિપ્રાય મોકલવા પોસ્ટ વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત, અશાંતધારા હેઠળ આવતા વિસ્તારોમાં મિલકતોની ખોટી રીતે ફેરબદલ ન થાય તે માટે પોલીસ કમિશનર સાથે પરામર્શ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
સરકારી જમીનો પરના દબાણો અને શાળાઓના બાંધકામ અંગે કડક વલણ
ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને મનુભાઈ પટેલે ઓલપાડ તાલુકાના વિવિધ ગામો તેમજ ભેદવાડ ખાડી પાસે થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી. કલેક્ટરે ઓલપાડના અટોદરા અને બરબોધન સહિતના ગામોમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવા આદેશ આપ્યા હતા. વધુમાં, શાળાઓના બાંધકામમાં વિલંબ કરનારા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા અને જિલ્લાની શાળાઓના કામોનો રિપોર્ટ રજૂ કરવા મામલતદારોને તાકીદ કરી હતી.
રસ્તાના નવીનીકરણ અને સરકારી મિલકતોની ચકાસણી
ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ ડીંડોલીથી કરાડ તરફના રસ્તાને રી-કાર્પેટ કરવા અને ગાંધી આશ્રમની જમીન પરના દબાણો હટાવવા રજૂઆત કરી હતી. બેઠકના બીજા ભાગમાં કલેક્ટરે જિલ્લાના તમામ ગામોની સરકારી મિલકતોની વિગતો ૭/૧૨ના ઉતારામાં નોંધાયેલી છે કે નહીં તેની તપાસ કરવા જણાવ્યું હતું. અંતમાં, કલેક્ટરે સરકારી કચેરીઓમાં વીજળીનો બચાવ કરવા અને વિકાસના કામોની ગ્રાન્ટનો સમયસર ઉપયોગ કરવા તમામ અધિકારીઓને સૂચના આપી હતી.

