દેવભૂમિ દ્વારકામાં AIIMS-રાજકોટ દ્વારા નિષ્ણાત તબીબોની નિઃશુલ્ક આરોગ્ય સેવા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનરલ હોસ્પિટલ, ખંભાળિયા ખાતે એઇમ્સ (AIIMS) રાજકોટ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો શુભારંભ રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા અને ધારાસભ્ય મુળુભાઈ બેરાની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઘરઆંગણે આધુનિક અને નિષ્ણાત તબીબી સેવાઓ પૂરી પાડવાનો હતો.
આરોગ્ય માળખાનું સશક્તિકરણ અને નિઃશુલ્ક સારવાર
સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું આરોગ્ય માળખું ખૂબ જ મજબૂત બન્યું છે. એઇમ્સ જેવી સંસ્થાઓ હવે જિલ્લા કક્ષાએ આવીને મેગા હેલ્થ કેમ્પ યોજી રહી છે, જે એક આવકારદાયક અભિગમ છે. આ શિબિરમાં માત્ર દર્દીઓની તપાસ જ નહીં, પરંતુ જરૂરિયાત મુજબની દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. તેમણે ‘સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ’ હોવાનું જણાવી નાગરિકોને પોતાની તંદુરસ્તી પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી.
પાયાની સુવિધાઓ અને પીએમજેએવાય યોજનાનો લાભ
ધારાસભ્ય મુળુભાઈ બેરાએ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવતને યાદ કરી તંદુરસ્ત શરીરનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સરકાર પીએમજેએવાય (PMJAY) જેવી યોજનાઓ દ્વારા નાગરિકોના આરોગ્યની દરકાર લઈ રહી છે. વધતા જતા રોગોને રોકવા માટે તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવા પર પણ ભાર મૂક્યો હતો. મહાનુભાવોએ કેમ્પની મુલાકાત લઈ નિષ્ણાત તબીબો સાથે ચર્ચા કરી હતી અને દર્દીઓને મળી રહી રહેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
વિવિધ રોગો માટે નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ
આ મેગા હેલ્થ કેમ્પમાં અનેક વિભાગોના નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી. જેમાં ફેફસાના રોગો, હાડકા (ઓર્થોપેડિક), કેન્સર માટે રેડિયેશન થેરાપી, આંખ, કસરત (ફિઝિયોથેરાપી), બાળરોગ, સ્ત્રીરોગ, ચામડીના રોગ, કાન-નાક-ગળું (ENT) અને માનસિક રોગો જેવા ગંભીર રોગોની તપાસ કરવામાં આવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજર રહી નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શનનો લાભ લીધો હતો.
