‘ધ કેરળ સ્ટોરી 2’ પર વિવાદ: ફિલ્મ રિલીઝ થાય તે પહેલા કેરળ હાઈકોર્ટ પોતે જોશે આ હિન્દી ફિલ્મ
વર્ષ 2023માં આવેલી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની સિક્વલ ‘ધ કેરળ સ્ટોરી 2’ અત્યારે ભારે વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મ આગામી શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જોકે, ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કથિત ‘ફોર્સ્ડ કન્વર્ઝન’ (બળજબરીપૂર્વક ધર્માંતરણ) ના વિષયને લઈને કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે મંગળવારે આદેશ આપ્યો છે કે ફિલ્મના નિર્માતાઓ કોર્ટ માટે એક સ્પેશિયલ સ્ક્રિનિંગનું આયોજન કરે, જેથી ન્યાયાધીશો પોતે ફિલ્મ જોઈને નિર્ણય લઈ શકે.
કોર્ટમાં કેમ પહોંચ્યો મામલો?
કેરળના જ એક 26 વર્ષીય જીવવિજ્ઞાની (Biologist) શ્રીદેવ નમ્બૂદિરીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને આ ફિલ્મના સેન્સર સર્ટિફિકેટને રદ કરવાની માંગ કરી છે. અરજદારનું કહેવું છે કે આ ફિલ્મમાં કેરળ રાજ્ય અને ત્યાંના લોકોની છબીને ખોટી રીતે અને રૂઢિચુસ્ત રીતે ચિતરવામાં આવી છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ફિલ્મનું ટ્રેલર જોતા એવું લાગે છે કે વાર્તા રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા ઉત્તર ભારતના રાજ્યોની છે, છતાં તેનું શીર્ષક ‘કેરળ’ રાખીને આખા રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ન્યાયાધીશનું અવલોકન અને નિર્માતાઓનો પક્ષ
સુનાવણી દરમિયાન જસ્ટિસ બેચુ કુરિયન થોમસે નોંધ્યું હતું કે, “કેરળ સ્ટોરી 2 ને લઈને કેરળના લોકોની જે ચિંતાઓ છે, તેને અવગણી શકાય નહીં.” આ ટિપ્પણી બાદ નિર્માતાઓએ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ ફિલ્મનું સ્ક્રિનિંગ ગોઠવશે અને વિવાદિત ટીઝરને પણ પાછું ખેંચી લેશે. બીજી તરફ, ફિલ્મના દિગ્દેશક કામાખ્યા નારાયણ સિંહ અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહનું કહેવું છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે અને તેમનો હેતુ કોઈ રાજ્યને નિશાન બનાવવાનો નહીં, પણ સમાજમાં ચાલતી બદીઓ સામે લોકોને જાગૃત કરવાનો છે.
રાજકીય વિરોધ અને મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
આ ફિલ્મ માત્ર કોર્ટમાં જ નહીં, પરંતુ રાજકીય સ્તરે પણ વિરોધનો સામનો કરી રહી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ફિલ્મને લઈને આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ ફિલ્મ રાજ્યમાં સાંપ્રદાયિક વિખવાદ જગાડવાનો એક પ્રયાસ છે. તેની સામે ફિલ્મના નિર્દેશકે વળતો પ્રહાર કરતા કહ્યું કે, તેઓ પીડિતોનો પક્ષ રજૂ કરી રહ્યા છે અને સમાજમાં ‘પ્રેમના નામે ચાલી રહેલા ધર્માંતરણના જાળ’ ને ખુલ્લો પાડી રહ્યા છે.
શું છે ‘ધ કેરળ સ્ટોરી 2’ ની વાર્તા?
ફિલ્મનું ટ્રેલર સૂચવે છે કે આ વખતે વાર્તા ત્રણ અલગ-અલગ યુવતીઓ પર કેન્દ્રિત છે, જેમના જીવનમાં મુસ્લિમ યુવકો સાથેના પ્રેમ સંબંધો બાદ ધર્માંતરણ અને અન્ય મુશ્કેલીઓ આવે છે. ફિલ્મમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળની સમાંતર વાર્તાઓ બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા મુખ્ય ભૂમિકામાં છે. નિર્માતાઓનો દાવો છે કે આ વાર્તા 15 થી 20 વાસ્તવિક કિસ્સાઓ પરથી પ્રેરિત છે.
હવે જોવાનું એ રહેશે કે શુક્રવારની રિલીઝ પહેલા હાઈકોર્ટ આ ફિલ્મ જોયા બાદ શું નિર્ણય લે છે. શું આ ફિલ્મ કોઈ અવરોધ વિના રિલીઝ થઈ શકશે કે પછી તેમાં કાતર ચલાવવામાં આવશે?

