છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે દિશામાં વધુ એક પગલું: વેરાવળમાં ગાર્ડન અને શેલ્ટર હોમની શરૂઆત
સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના હસ્તે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં ભીડિયા ખાતે બાણગંગાની સામે તૈયાર કરવામાં આવેલા નૂતન ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગાર્ડનનું નામ ‘અટલ ગાર્ડન’ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ગાર્ડન બનવાથી સ્થાનિક રહીશોની સાથે સોમનાથ આવતા પ્રવાસીઓને પણ હરવા-ફરવા માટે એક સુંદર સ્થળ મળી રહેશે.
નિરાધાર લોકો માટે રૂ. ૨.૧ કરોડના ખર્ચે બનશે આધુનિક શેલ્ટર હોમ
શહેરમાં વસતા આવાસ વિહોણા લોકો, ભિક્ષુકો અને શ્રમજીવીઓ માટે હૂડકો સોસાયટી પાસે ૭૫ બેડની ક્ષમતા ધરાવતા શેલ્ટર હોમનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આશરે ૨.૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ ભવનમાં રસોડું, ડાઈનિંગ હોલ, સ્ત્રી-પુરુષો માટે અલગ રૂમ, ઓફિસ, લોકર રૂમ અને બાળકો માટેના ખાસ રૂમ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય છે કે સમાજના છેવાડાના માનવીને પણ રહેવા માટે સુરક્ષિત છત મળી રહે.
અમૃત ૨.૦ યોજના હેઠળ શહેરી સુવિધાઓમાં વધારો
અમૃત ૨.૦ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૧.૬૨ કરોડના ખર્ચે બે ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાંથી ભીડિયા ખાતેના ગાર્ડનનું લોકાર્પણ સંપન્ન થયું છે. આ ગાર્ડનમાં બાળકો માટે હિંચકા, લસરપટ્ટી, બેસવા માટેના બાંકડા, લાઈટ્સ અને વોકિંગ માટે પેવરબ્લોક્સ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે સોમનાથની સાથે હવે વેરાવળનો પણ સર્વાંગી વિકાસ થાય તે દિશામાં નગરપાલિકા અને સરકાર સતત કાર્યરત છે.
વિકાસની ગતિ અને જનસુખાકારી પર ભાર
લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સાંસદશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માનતા કહ્યું કે ‘સ્વાભિમાન પર્વ’ બાદ આ વિસ્તારમાં વિકાસની ગતિ તેજ બની છે. શેલ્ટર હોમ અને ગાર્ડન જેવા પ્રકલ્પોથી સામાન્ય જનતાના જીવનધોરણમાં સુધારો આવશે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબહેન ચાવડા, નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા અને સરકારની આ લોકકલ્યાણકારી યોજનાઓને બિરદાવી હતી.

