RSS ના સંગઠન માળખામાં મોટા ફેરફારની તૈયારી: 13 થી 15 માર્ચની બેઠકમાં લેવાઈ શકે છે ઐતિહાસિક નિર્ણયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સર્વોચ્ચ નિર્ણાયક પાંખ એવી ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા’ની બેઠક આ વર્ષે હરિયાણાના સમાલખામાં યોજાવા જઈ રહી છે. 13 માર્ચથી 15 માર્ચ, 2026 દરમિયાન યોજાનારી આ બેઠકમાં સંઘના માળખામાં ધરખમ ફેરફારો થવાની શક્યતા છે. આ બેઠક સંઘની દૃષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવે છે, કારણ કે તેમાં આગામી વર્ષની કાર્યયોજના અને દેશની વર્તમાન પરિસ્થિતિ પર ગહન ચર્ચા કરવામાં આવશે.
શું હોઈ શકે છે નવા ફેરફારો?
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, RSS પોતાના શતાબ્દી વર્ષ નિમિત્તે સંગઠનાત્મક માળખાને વધુ આધુનિક અને વેગવંતું બનાવવા જઈ રહ્યું છે. જો આ બેઠકમાં પ્રસ્તાવિત ફેરફારો પર મંજૂરીની મહોર વાગશે, તો માર્ચ 2027માં નાગપુર ખાતે યોજાનારી પ્રતિનિધિ સભામાં તેની સત્તાવાર જાહેરાત કરીને તેને અમલી બનાવવામાં આવશે.
મુખ્ય ફેરફારોમાં ‘પ્રાંત વ્યવસ્થા’ ને બદલીને તેને ‘રાજ્ય પ્રચારક’ ના સ્તરે લાવવાની યોજના છે. હાલમાં સંઘમાં 45 પ્રાંત અને 11 ક્ષેત્રો છે. નવી યોજના મુજબ, સંઘ 11 ક્ષેત્રોની સંખ્યા ઘટાડીને 9 કરી શકે છે.
‘પ્રાંત’ ને બદલે ‘સંભાગ’ વ્યવસ્થા પર જોર
સંઘ હવે નવી ‘સંભાગ પ્રચારક’ વ્યવસ્થા લાગુ કરવા પર ગંભીરતાથી વિચારી રહ્યો છે. નવી રચના મુજબ, પ્રાંત પ્રચારકની જગ્યાએ હવે સંભાગ પ્રચારકોની નિમણૂક કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં અત્યારે ચાર પ્રાંત છે, પરંતુ જો સંભાગ વ્યવસ્થા આવે તો નાગપુર અને અમરાવતી જેવા સંભાગોમાં પ્રચારકોની સંખ્યા વધારી શકાય છે. આનાથી કાર્યનું વિકેન્દ્રીકરણ થશે અને સંઘની પહોંચ વધુ ઊંડી બનશે.
ક્ષેત્ર પ્રચારકોની સંખ્યામાં ઘટાડો
સંગઠન ક્ષેત્ર પ્રચારકોની સંખ્યા 11 થી ઘટાડીને 9 કરવા અંગે વિચારી રહ્યું છે. આ ફેરફારમાં ભૌગોલિક સીમાઓનું પુનર્ગઠન થઈ શકે છે:
- ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ: અત્યારે આ બંને રાજ્યો માટે અલગ-અલગ ક્ષેત્ર પ્રચારક હોય છે, પરંતુ નવી વ્યવસ્થામાં આ બંને માટે એક જ ક્ષેત્ર પ્રચારક હોઈ શકે છે.
- રાજસ્થાન: રાજસ્થાનના ક્ષેત્રને ઉત્તર ક્ષેત્ર પ્રચારક હેઠળ જોડવામાં આવી શકે છે.
તળસ્તરના સંગઠનને મજબૂત બનાવવાની વ્યૂહરચના
આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એક રાજ્યમાં એક ‘રાજ્ય પ્રચારક’ રાખવાનો છે, જે આખા રાજ્યના કાર્યોનું આયોજન કરશે. આનાથી સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ અને પાયાના કાર્યકરો વચ્ચેનું અંતર ઘટશે અને નિર્ણયો લેવાની પ્રક્રિયા ઝડપી બનશે. જોકે, મહાનગર, વિભાગ અને જિલ્લા પ્રચારકની વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, તે અગાઉની જેમ જ ચાલુ રહેશે.
શતાબ્દી વર્ષ હોવાને કારણે ચાલુ વર્ષે કોઈ મોટા ફેરફારો લાગુ કરવામાં આવશે નહીં, પરંતુ હરિયાણાની આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની અસર 2027 થી સંઘના કાર્યક્ષેત્રમાં સ્પષ્ટપણે જોવા મળી શકે છે.

