મોહમ્મદ આમિરની બોલતી બંધ: ભારત સેમીફાઇનલમાં પહોંચતા જ પાકિસ્તાની દિગ્ગજ ‘મોં છુપાવવા’ જેવી સ્થિતિમાં, છતાં છેડ્યો નવો વિવાદ!
ક્રિકેટના મેદાનમાં જ્યારે ભારત અને પાકિસ્તાન આમને-સામને હોય ત્યારે રોમાંચ ચરમસીમાએ હોય છે, પરંતુ જ્યારે પાકિસ્તાની પૂર્વ ખેલાડીઓ ભારતની હારની ભવિષ્યવાણી કરે અને ભારત જીતી જાય, ત્યારે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો જે પૂર આવે છે તે જોવા જેવો હોય છે. આવું જ કંઈક હાલમાં પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર સાથે થયું છે. ભારત સામેની હારની ભવિષ્યવાણી કરનાર આમિર અત્યારે ‘શરમજનક’ સ્થિતિમાં મુકાયો છે, તેમ છતાં તેણે શિમરોન હેટમાયરના આઉટ થવા પર સવાલ ઉઠાવી નવો વિવાદ છેડ્યો છે.
ટી-20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કરો કે મરો જેવી મેચ રમાઈ હતી. આ મેચ પહેલા મોહમ્મદ આમિરે એક પાકિસ્તાની ટીવી શો ‘હારના મના હૈ’ માં દાવો કર્યો હતો કે, “પાકિસ્તાન સેમીફાઇનલમાં પહોંચે કે ન પહોંચે, પણ ભારત તો ચોક્કસપણે બહાર થઈ જશે.” આમિરે ભારતની બેટિંગ ટેકનિક અને બોલિંગ પર સવાલો ઉઠાવ્યા હતા. જોકે, ભારતે રવિવારે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવીને સેમીફાઇનલમાં શાનદાર એન્ટ્રી કરી આમિરની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી દીધી છે.
હેટમાયરનું ‘વિવાદાસ્પદ’ આઉટ અને આમિરનો બચાવ
ભારત સામેની મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટર શિમરોન હેટમાયર માત્ર 12 બોલમાં 27 રન બનાવી રમી રહ્યો હતો. 12મી ઓવરમાં જસપ્રિત બુમરાહના એક બોલ પર અમ્પાયરે તેને કેચ આઉટ આપ્યો. હેટમાયરને ખાતરી હતી કે બોલ બેટને અડ્યો નથી, તેથી તેણે રિવ્યુ (DRS) લીધો. અલ્ટ્રા-એજમાં સ્પષ્ટ સ્પાઈક (વિક્ષેપ) દેખાતા થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો.
આ ઘટના બાદ મોહમ્મદ આમિરે ફરી ઝેર ઓકતા કહ્યું કે, “હેટમાયરનું આઉટ થવું વિવાદાસ્પદ હતું. મને નથી લાગતું કે તે આઉટ હતો. જો તે થોડી વાર વધુ મેદાન પર ટક્યો હોત અને સ્કોર 220-230 સુધી પહોંચ્યો હોત, તો ભારત આજે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હોત.” આમિરના આ નિવેદનને ભારતીય ચાહકો તેની ‘હારની હતાશા’ ગણાવી રહ્યા છે.
આમિરે ભારતની ટીકા કરતા શું કહ્યું?
પોતાની ભવિષ્યવાણી ખોટી પડ્યા પછી પણ આમિરે ભારતની જીતને સ્વીકારવાને બદલે ખામીઓ શોધવાનું ચાલુ રાખ્યું:
બોલિંગ પર સવાલ: આમિરે કહ્યું કે બુમરાહ સિવાય ભારતનો કોઈ બોલર પ્રભાવી નથી. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીને વેસ્ટ ઈન્ડિઝના બેટરોએ સરળતાથી ફટકાર્યા હતા.
ફીલ્ડિંગમાં ખામી: ભારતે મેચ દરમિયાન 3-4 કેચ છોડ્યા હતા, જે સેમીફાઇનલ જેવી મોટી મેચમાં ભારે પડી શકે છે.
સેમીફાઇનલની ચેતવણી: આમિરે ચેતવણી આપી છે કે સેમીફાઇનલમાં ભારતનો સામનો એવી ટીમો સાથે થશે જે સ્પિનને વેસ્ટ ઈન્ડિઝ કરતા વધુ સારી રીતે રમે છે, તેથી ભારત માટે ટાઇટલ જીતવું મુશ્કેલ છે.
ભારતીય ચાહકોએ આમિરને બરાબરનો લપેટ્યો
સોશિયલ મીડિયા પર મોહમ્મદ આમિર અત્યારે જોરદાર ટ્રોલ થઈ રહ્યો છે. ચાહકો તેને યાદ અપાવી રહ્યા છે કે સંજુ સેમસને જે રીતે 97 રનની ઈનિંગ રમીને ભારતને જીતાડ્યું, તે બતાવે છે કે ટીમ ઈન્ડિયા પાસે વિરાટ કોહલી કે રોહિત શર્મા વગર પણ મેચ જીતવાની ક્ષમતા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે, “આમિર હવે જ્યોતિષ બનવાનું છોડી દે તો સારું.”

