T20 વર્લ્ડ કપમાંથી બહાર થતા જ કોચ બદલાયા, હવે શું અફઘાનિસ્તાનનો કેપ્ટન પણ બદલાશે?
T20 વર્લ્ડ કપ 2026માં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શક્યા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારોના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાશિદ ખાનની આગેવાનીમાં અફઘાન ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ જતાં હવે માત્ર પ્રદર્શન જ નહીં, પણ નેતૃત્વ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) અત્યારે ટીમમાં ધરખમ ફેરફારો કરવા પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.
રાશિદ ખાનની કેપ્ટન્સી પર મંડરાતા જોખમના વાદળો
દુનિયાના શ્રેષ્ઠ ટી20 બોલરોમાં જેની ગણના થાય છે તેવા રાશિદ ખાનને 2022ના વર્લ્ડ કપ બાદ ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી હતી. બોર્ડને આશા હતી કે રાશિદના અનુભવ અને સ્ટાર પાવરની મદદથી ટીમ ICC ટૂર્નામેન્ટ્સમાં મોટી સિદ્ધિ હાંસલ કરશે. જોકે, તાજેતરના T20 વર્લ્ડ કપ અને એશિયા કપમાં ટીમનું વહેલું બહાર ફેંકાઈ જવું રાશિદની કેપ્ટન્સી સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે.
કોચિંગ સ્ટાફમાં મોટી સર્જરી
ટીમના નબળા દેખાવને પગલે ACBએ મેનેજમેન્ટ સ્તરે ફેરફારો શરૂ કરી દીધા છે. લાંબા સમયથી જોડાયેલા કોચ જોનાથન ટ્રોટની વિદાય થઈ છે અને તેમની જગ્યાએ રિચર્ડ પાયબસને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ACBના CEO નસીબ ખાને સ્પષ્ટ કર્યું છે કે, “ભવિષ્યની ટીમ બનાવવા માટે ફેરફારો અનિવાર્ય છે. અમે હેડ કોચ, બેટિંગ કોચ અને ટ્રેનર બદલ્યા છે. ટીમની અંદર પણ આવા જ ફેરફારો થઈ શકે છે.” જોકે, કેપ્ટન્સી અંગે તેમણે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી, પણ સંકેત આપ્યો છે કે ફેરફાર શક્ય છે.
શ્રીલંકા સીરીઝ અને ભવિષ્યનું આયોજન
અફઘાનિસ્તાન માર્ચ મહિનામાં UAE ખાતે શ્રીલંકા સામે વ્હાઇટ બોલ સીરીઝનું આયોજન કરવાનું છે. જેમાં 3 ODI અને 3 T20 મેચો રમાશે. આ સીરીઝ બાદ નવા કોચ રિચર્ડ પાયબસ ટીમ સાથે જોડાશે અને 2027-2028ના વર્લ્ડ કપની તૈયારીઓ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.
જોકે, વર્તમાન ભૌગોલિક અને રાજકીય સ્થિતિને જોતા UAE માં આ સીરીઝના આયોજન અંગે થોડી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. બોર્ડનું કહેવું છે કે જો સ્થિતિ સામાન્ય રહેશે તો સીરીઝ નિર્ધારિત સમય મુજબ જ રમાશે.

