ગૌતમ ગંભીરનો ફૂટ્યો ગુસ્સો! કીર્તિ આઝાદના ધાર્મિક નિવેદન પર કહ્યું- ‘આ ટીમ ઈન્ડિયાનું અપમાન

3 Min Read

‘અન્યાયી વલણ’ કીર્તિ આઝાદના ધાર્મિક નિવેદન પર ગૌતમ ગંભીરે તોડ્યા મૌન, કહ્યું ‘આવી વાતોથી ખેલાડીઓની મહેનતનું અપમાન થાય છે’

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ઈતિહાસ રચ્યો છે. પરંતુ આ ભવ્ય વિજય બાદ શરૂ થયેલો ધાર્મિક વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ કીર્તિ આઝાદના વિવાદાસ્પદ નિવેદન પર હવે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. ગંભીરે આઝાદ પર ભારતની જીતને ‘નીચી દેખાડવાનો’ અને ખેલાડીઓના મનોબળને ‘નબળું પાડવાનો’ ગંભીર આરોપ લગાવ્યો છે.

શું હતો સમગ્ર વિવાદ?

ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યાના 24 કલાકની અંદર જ હેડ કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ICC ચેરમેન જય શાહ અમદાવાદના પ્રસિદ્ધ હનુમાન મંદિરે ટ્રોફી સાથે દર્શન કરવા પહોંચ્યા હતા. આ ઘટના બાદ કીર્તિ આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “મસ્જિદ કેમ નહીં? ચર્ચ કેમ નહીં? ગુરુદ્વારા કેમ નહીં? ટ્રોફી દરેક ધર્મના 1.4 બિલિયન ભારતીયોની છે — તે કોઈ એક ધર્મની જીતની દોડ નથી.” આ પોસ્ટ બાદ ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો હતો.

- Advertisement -

gambir1.jpg

ગૌતમ ગંભીરનો જડબાતોડ જવાબ

એક પોડકાસ્ટ દરમિયાન ANI સાથે વાત કરતા ગંભીરે કહ્યું, “આ પ્રશ્નનો જવાબ આપવો પણ મને યોગ્ય નથી લાગતો. આ આખા દેશ માટે ગૌરવની ક્ષણ છે. જ્યારે તમે આવા નિવેદનો આપો છો, ત્યારે તમે તે 15 ખેલાડીઓની મહેનતને નબળી પાડો છો. જો કોઈ પણ ઉઠીને ગમે તે બોલવા લાગે, તો તે ખેલાડીઓ સાથે અન્યાય છે.”

- Advertisement -

ગંભીરે વધુમાં ઉમેર્યું કે, “વિચારો કે તે છોકરાઓ પર કેટલું દબાણ હતું. સુપર એટ્સમાં દક્ષિણ આફ્રિકા સામેની કારમી હાર બાદ જે રીતે ટીમે કમબેક કર્યું છે તે પ્રશંસનીય છે. આવા નિવેદનો આપીને તમે તમારા જ ખેલાડીઓ અને તમારી જ ટીમને નીચી દેખાડી રહ્યા છો. આવું ક્યારેય ન કરવું જોઈએ.”

હરભજન સિંહ અને ઈશાન કિશનની પ્રતિક્રિયા

માત્ર ગંભીર જ નહીં, પણ પૂર્વ સ્પિનર હરભજન સિંહે પણ કીર્તિ આઝાદના વલણને ‘અજીબ’ ગણાવ્યું હતું. હરભજને કહ્યું કે, “ટીમ ટ્રોફી લઈને ગમે ત્યાં જઈ શકે છે. જો કોઈએ મન્નત માની હોય અને તે પૂરી કરવા મંદિર જાય, તો તેમાં રાજકારણ ન રમવું જોઈએ. આઝાદ પોતે એક સ્પોર્ટ્સમેન હોવા છતાં આવી વાતો કરે તે દુઃખદ છે.” બીજી તરફ, યુવા વિકેટકીપર ઈશાન કિશને આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.

gambir.jpg

- Advertisement -

ભારતીય ટીમનું શાનદાર કમબેક

ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપમાં ભારતની સફર ઉતાર-ચઢાવવાળી રહી હતી. દક્ષિણ આફ્રિકા સામે 76 રને હાર્યા બાદ ભારતનું નેટ રન રેટ ખૂબ નીચે ગયું હતું. જોકે, ત્યારબાદ ટીમે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ, ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 96 રનથી મેળવેલી જીત ભારતની સર્વશ્રેષ્ઠ જીત ગણાય છે. ભારત હવે ત્રણ વાર T20 વર્લ્ડ કપ જીતનારી અને પોતાની ધરતી પર ટ્રોફી બચાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.

Share This Article