આજથી એટલે કે અષાઢ સુદ અગિયારસ થી બાળાઓ ના ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત નો પ્રારંભ થયો છે , પ્રાચીન શિવપુરાણની કથા માં વર્ણન મુજબ હિમાલયની પુત્રી માં પાર્વતીએ ભગવાન શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતો કર્યા હતા. અને આ વ્રત દ્વારા જ માં પાર્વતીજી ની મનોકામના પૂર્ણ થઈ હતી. આમ આપણા પ્રાચીન ધર્મગ્રંથ ના આધારે ત્યારથી કુમારિકાઓ પોતાના સારા જીવનસાથી ની પ્રાપ્તિ માટે અને સારા જીવન પ્રાપ્તિના શુભ હેતુથી પરંપરાગત રીતે આ વ્રત કરે છે
અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચ દિવસનું ગૌરી વ્રત તેમજ અષાઢ વદ બીજ સુધીનું જયા પાર્વતી વ્રત સતત પાંચ વર્ષ સુધી વારાફરતી કરવામાં આવે છે. આ બંને વ્રતમાં ‘જ્વારા’નું પૂજન કરવામાં આવે છે. રામપાત્રની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય; ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડાય છે. અષાઢ મહિનામાં આ સાતેય ધાન્ય ની ખેતી થતી હોય છે.
જ્વારા’એ માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને ‘નાગલા’ બનાવવામાં આવે છે. ‘નાગલા’ શિવનું પ્રતિક છે. શિવજી મૃત્યુંજય તો માતા પાર્વતીજી મૃત્યુંજયા છે, જેથી બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે
વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા ‘જ્વારા’ અને ‘નાગલા’ પુજાપા સાથે એક થાળીમાં લઈ સમૂહમાં શીવમંદિરે જાય છે. મંદિરે આવી જ્વારાને નાગલા ચડાવી, અક્ષત-કંકુ દ્વારા ષોડશોપચારે પૂજા કરે છે. પૂજા કરીને શિવ-પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે, માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને ‘મોળાવ્રત-મોળાકત’ વ્રત કહે છે.
પાંચ દિવસના બંને વ્રતો જ્યારે પૂરા થાય છે, ત્યારે પાંચમા દિવસે જ આ જ્વારા જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓ રાત્રી દરમિયાન જાગરણ કરી શિવ-પાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના છઠ્ઠા દિવસના પારણા કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે. સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ, તેની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીમાં સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્ય ચિન્હોનું દાન કરવામાં આવે છે.
ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત સંબંધી કથા ભવિષ્યોત્તરપુરાણમાં જોવા મળે છે. બંને વ્રતોમાં શિવ-પાર્વતીની ઉપાસના કરી સારો વર, સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિનો હેતુ રહેલો છે.આમ નાની બાળાઓ આ વ્રત ની પરંપરાગત ઉજવણી કરે છે અને આપણા પ્રાચીન ધર્મો માં જણાવાયા મુજબ સંસ્કાર અને સંસ્કૃતિ ની જાળવણી કરે છે.
