મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં રાજ્યના ITIs માટે ઇન્ડસ્ટ્રી આધારિત સ્કિલ ટ્રેનિંગ કરાર
ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી તથા અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો મુજબ સજ્જ કરવાનો છે. કુશળ માનવબળ જ વિકસિત ભારતનો પાયો હોવાનું જણાવી મંત્રીશ્રીએ આ પહેલને યુવાઓના ભવિષ્ય માટે ગેમ-ચેન્જર ગણાવી હતી.
ITI ના તાલીમાર્થીઓ માટે આધુનિક તાલીમના દ્વાર ખુલ્લ્યા
આ સમજૂતી અંતર્ગત રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરંપરાગત શિક્ષણની સાથે આધુનિક ટેક્નોલોજીનું જ્ઞાન આપવામાં આવશે. ખાસ કરીને સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં વિશેષ તાલીમ પૂરી પાડવામાં આવશે. રાજ્યની પસંદગીની ITIs માં અદ્યતન ‘સ્કિલ લેબ્સ’ સ્થાપવામાં આવશે, જ્યાં તાલીમાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ ઉદ્યોગોમાં વપરાતા મશીનો અને પદ્ધતિઓ પર પ્રત્યક્ષ કામ કરવાનો અનુભવ (Hands-on Training) પણ મળશે.
સ્કિલ ઇન્ડિયા વિઝન સાથે યુવાનોનું સશક્તિકરણ
આ પહેલ વડાપ્રધાનના ‘વિકસિત ભારત @૨૦૪૭’ અને ‘સ્કિલ ઇન્ડિયા’ ના સ્વપ્નને સાકાર કરવા તરફનું એક મક્કમ ડગલું છે. તાલીમ પૂર્ણ કરનાર યુવાનોને માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો આપવામાં આવશે, જેનાથી તેમની રોજગાર મેળવવાની ક્ષમતા અનેકગણી વધી જશે. અદાણી ગ્રુપ જેવા મોટા ઔદ્યોગિક જૂથ સાથેના આ જોડાણથી યુવાનોને સીધું ઇન્ડસ્ટ્રી એક્સપોઝર મળશે, જે તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવા માટે તૈયાર કરશે. આ પ્રયાસથી ગુજરાત એક ‘સ્કિલ હબ’ તરીકે ઉભરી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાર સંપન્ન
MoU હસ્તાક્ષરના આ અવસરે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સહેરા, નિયામક શ્રી નીતિન સાંગવાન અને અદાણી ગ્રુપના પ્રતિનિધિઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના આ જોડાણથી રાજ્યના હજારો યુવાનો માટે પ્રાઇવેટ સેક્ટરમાં રોજગારીની મોટી તકો ઊભી થશે. વહીવટી તંત્ર દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે આગામી સમયમાં ટેકનિકલ શિક્ષણને રોજગારલક્ષી બનાવીને બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો વધુ તેજ કરવામાં આવશે.
