રનઆઉટ વિવાદ પર મેહદી હસન મિરાજે તોડ્યું મૌન; જણાવ્યું કે કેમ તેણે સ્ટમ્પ તરફ ફેંક્યો હતો બોલ?
BAN vs PAK: 13 માર્ચના રોજ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને DLS નિયમ મુજબ 128 રનથી મોટી જીત મેળવી શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. જોકે, આ મેચની હાર-જીત કરતા પાકિસ્તાની બેટ્સમેન સલમાન અલી આઘાના રનઆઉટની વધુ ચર્ચા થઈ રહી છે. મેહદી હસન મિરાજે જે રીતે આઘાને આઉટ કર્યો, તેને ઘણા લોકો રમતની ભાવના (Spirit of Cricket) વિરુદ્ધ ગણાવી રહ્યા છે.
“મારો ઈરાદો માત્ર રન બચાવવાનો હતો” – મિરાજ
મેચ પૂરી થયા બાદ બાંગ્લાદેશી કેપ્ટન મેહદી હસન મિરાજે આ વિવાદ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેનો ઈરાદો કોઈને ખોટી રીતે આઉટ કરવાનો નહોતો. તેણે કહ્યું
“મારો ઈરાદો માત્ર બોલને રોકવાનો અને રન બચાવવાનો હતો. સલમાન ક્રીઝની બહાર હતો અને હું બોલ તરફ દોડી રહ્યો હતો. જો હું બોલને મિસ કરી દેત તો તે સરળતાથી રન લઈ શકત, તેથી મેં બોલ ઉપાડીને સ્ટમ્પ પર થ્રો કરવાનો નિર્ણય લીધો. નિયમ મુજબ આમાં કંઈ ખોટું નથી.”
મિરાજે વધુમાં હારનું કારણ જણાવતા કહ્યું કે, પ્રથમ 10 ઓવરમાં તેમની ટીમે ઘણા રન આપી દીધા હતા જેનો ફાયદો પાકિસ્તાને ઉઠાવ્યો. પાકિસ્તાની બેટ્સમેનોએ પાવરપ્લેમાં જે આક્રમક રમત બતાવી, તેને મિરાજે જીતનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.
મેદાન પર શું બની હતી ઘટના?
પાકિસ્તાનની ઇનિંગ્સની 39મી ઓવર દરમિયાન મિરાજના બોલ પર મોહમ્મદ રિઝવાને સીધો શોટ રમ્યો હતો. બોલ બોલર અને નોન-સ્ટ્રાઈકર આઘાની વચ્ચે હતો. આ દરમિયાન મિરાજ અને સલમાન આઘા વચ્ચે સામાન્ય ટક્કર પણ થઈ હતી. સલમાનને લાગ્યું કે બોલ ડેડ થઈ ગયો છે અથવા તે સુરક્ષિત છે, પરંતુ તે ક્રીઝની બહાર હતો.
આ તકનો લાભ લઈને મિરાજે તરત જ બોલ સ્ટમ્પ પર મારી દીધો અને અપીલ કરી. સલમાનનું કહેવું હતું કે ટક્કરના કારણે તે સમયસર ક્રીઝમાં પહોંચી શક્યો નહોતો, પરંતુ બાંગ્લાદેશી ટીમે અપીલ પાછી ખેંચી નહીં. અંતે રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે આઘાને આઉટ જાહેર કર્યો હતો.

