વન વિભાગની પહેલ, મેન્ગ્રુવ જંગલોના મહત્વ અને જૈવ વૈવિધ્ય સંરક્ષણ માટે નિષ્ણાતોનું માર્ગદર્શન
મોરબી વન વિભાગ દ્વારા પંચમુખી હનુમાનજી મંદિરના હૉલ ખાતે પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુ સાથે ‘સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો’ વિષય પર એક વિશેષ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પર્યાવરણ નિષ્ણાતોએ હાજર રહીને દરિયાકાંઠાના સંરક્ષણ માટે મેન્ગ્રુવ (ચેર) ના જંગલોના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ સ્થાનિકોમાં દરિયાઈ વનસ્પતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવાનો હતો.
મેન્ગ્રુવ દરિયાકાંઠા માટે ‘ગ્રીન બેલ્ટ’ અને કુદરતી ઢાલ સમાન
મોરબી નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલે મેન્ગ્રુવને એક વિશિષ્ટ વનસ્પતિ ગણાવતા જણાવ્યું હતું કે, આ જંગલો ખારાશવાળી જમીનમાં ટકી રહેવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. તેમણે ભારત સરકારના ‘મિસ્ટી’ (MISHTI) પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ઉમેર્યું કે, દરિયાના મોજા અને પૂર સામે કિનારાનું રક્ષણ કરવા તેમજ દરિયાને આગળ વધતો અટકાવવા માટે મેન્ગ્રુવનું વાવેતર અત્યંત અનિવાર્ય છે. મેન્ગ્રુવ માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ સ્થાનિક માછીમારો અને જૈવ-વિવિધતા માટે પણ સમૃદ્ધિનો સ્ત્રોત છે.
નિષ્ણાતો દ્વારા મેન્ગ્રુવના ઔષધિય અને પર્યાવરણીય ફાયદાઓની સમજ
વર્કશોપ દરમિયાન વિવિધ નિષ્ણાતોએ રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. વૈદ્યશ્રી કિરીટસિંહ ઝાલાએ મેન્ગ્રુવના આયુર્વેદિક અને ઔષધિય ગુણો પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે ગીર ફાઉન્ડેશનના ભાવેશભાઈ ત્રિવેદીએ યાયાવર પક્ષીઓ અને જૈવ-વિવિધતા સામેના પડકારો વિશે વાત કરી હતી. પ્રોફેસર ડૉ. કેતન મેવાડાએ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા મેન્ગ્રુવની વિવિધ જાતિઓ અને સરકારી યોજનાઓની ટેકનિકલ જાણકારી આપી હતી. આ નિષ્ણાતોએ પર્યાવરણના જતનમાં મેન્ગ્રુવની ભૂમિકાને આકર્ષક શૈલીમાં રજૂ કરી હતી.
પ્રકૃતિ સંવર્ધન માટે વન વિભાગ અને ગ્રામજનોનો મક્કમ નિર્ધાર
કાર્યક્રમના અંતે ઉપસ્થિત અધિકારીઓ, પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓએ પર્યાવરણના જતન માટે મક્કમ નિર્ધાર કર્યો હતો. મદદનીશ વન સંરક્ષક પ્રતિક નરોડિયા અને ચેર રેન્જના અધિકારી તૃપ્તિ જોશી સહિતના વનકર્મીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. દરિયાકાંઠાના ગામોના લોકો અને વિદ્યાર્થીઓની બહોળી હાજરીએ દર્શાવ્યું હતું કે લોકો હવે કુદરતી સંપત્તિના રક્ષણ માટે જાગૃત બન્યા છે. આ વર્કશોપ દ્વારા ‘આપણે પ્રકૃતિને શું આપી શકીએ’ તે દિશામાં કાર્ય કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

