ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન મામલે નિવેદન આપતા જણાવ્યું કે, ટોસિલિઝુમેબ સ્વિત્ઝરલેન્ડમાંથી મંગાવીએ છીએ. મેના પહેલા અઠવાડિયામાં આ દવાનો પ્રયોગ ગાંધીનગરમાં બે દર્દીઓ પર થયો હતો. ત્યારબાદ આ મોંઘી દવા દર્દીઓને બચાવતી હોય તો જથ્થો પૂરો પાડવાનો આદેશ સરકારે કર્યો છે. દર્દીના શરીરમાં કોરોના વાયરસનો જથ્થો વધી જાય એટલે ટોસિલિઝુમેબ ઈન્જેકશન મદદરૂપ નીવડે છે. આ ઈન્જેક્શનના સારા પરિણામ મળ્યા છે. ઈન્જેક્શન આપ્યા બાદ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવું જરૂરી હોય છે. રાજ્યની સરકારી હોસ્પિટલને મફતમાં આપ્યા છે. અત્યાર સુધી 6400 ઇન્જેક્શનમાંથી 50 ટકા સરકારી અને 50 ટકા ખાનગી હોસ્પિટલને ફાળવ્યો છે.
તેઓએ જણાવ્યું કે, માર્કેટમાં આ ઇન્જેક્શનની અછત થઈ હતી, માઈલ્ડ અને મોડરેટ સ્થિતિમાં દર્દીને આ દવા આપવાની રહેતી નથી. સીવિયર સ્થિતિમાં આ ઇન્જેક્શનનો ઉપયોગ કરીએ છીએ. છેલ્લા 15 દિવસથી સુરતમાં કેસ વધ્યા ત્યારબાદ આ દવાનો વધુ ઉપયોગ શરૂ થયો, એટલે તેની ડિમાન્ડ વધી છે. દર્દીના સગા ખાનગી હોસ્પિટલમાંથી દુકાને દુકાને ફરતા હતા. ડિમાન્ડ સપ્લાયના ગેપનો લાભ લઈને રાતો રાત રૂપિયા કમાવવા ઈચ્છતા લોકો ઉઠાવે છે. અમદાવાદની સંજીવની હોસ્પિટલમાં ડોક્ટરે આ દવા દર્દીને લખી આપી હતી. આશિષ શાહે આ દવા 3 બોક્સ 1,35,000 રોકડ લઈ બિલ આપ્યા વગર વેચાણ કરી છે. ડોકટર દેવાંગભાઈએ આ ઈન્જેક્શન જોયું ન હતું, તેથી તેઓને થોડી શંકા ગઈ અને તેઓને અન્ય ડોક્ટરને આ અંગે વાત કરી હતી. દર્દી પર આ દવા વપરાઈ નહિ, તેથી દર્દી પણ બચી ગયા છે. પણ ડોક્ટરે આ અંગે જાણ કરી છે.
તેઓએ કહ્યું કે, દર્દીના સગાને કોન્ટેક્ટ કરી, અમે વોચ ગોઠવી છે. સગા મારફતે ખ્યાલ આવ્યો કે મા ફાર્મસીમાંથી આ લીધાનું સામે આવ્યું છે. બિલ વગર વેચ્યાનું આશિષભાઈએ કબૂલ્યું હતું. હર્ષ ઠાકોર પાસેથી 80 હજારમાં 3 બોક્સ ઈન્જેકશન લાવ્યા હતા. હર્ષ ઠાકોરે કહ્યું કે, હેપી કેમિસ્ટ એન્ડ પ્રોટીન હાઉસમાંથી 70000માં તેઓ આ ઈન્જેકશન લાવ્યા હતા. 5 હજારમાં સુરતમાંથી ઇસ્માઇલ નામના વ્યક્તિ પાસેથી તે ઈન્જેક્શન લાવ્યો હતો. અંતે સુરતમાં દરોડા પાડીને ઈન્જેક્શન તેમજ અન્ય સાધનો જપ્ત કર્યા છે. ઇસ્માઇલ ફેક વેબસાઈટ પણ ચલાવતો હતો. બનાવટી દવા બનાવવામાં આજીવન કેદની સજા થાય છે. હવે આ નેટવર્ક ક્યાંથી કોણ સંડોવાયેલું છે, તે માટે ડિપાર્ટમેન્ટ FIR કરીશું.