કોરોનાના પ્રકોપ વચ્ચે અમદાવાદના શાહીબાગ રિવરફ્રન્ટ પર ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. આજે સોમાવતી અમાસના દિવસે મોટી સંખ્યામાં લોકો શાહીબાગ રિવરફ્રન્ટ ખાતે પૂજા કરવા ઉમટી પડ્યા. સાથે જ નદીમાં નાહ્વા પણ ઉતર્યા હતા. અહીં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટેન્સની પરવાહ કર્યા વગર પૂજા કરવા પહોંચ્યા છે.
રાજ્યમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દૈનિક 900થી વધુ કેસો આવી રહ્યા છે. ત્યારે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું તંત્ર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યુ છે. પણ લોકો નિયમોને નેવે મુકી પોતાના અને અન્યના જીવને જોખમમાં મુકી રહ્યા છે. ત્યારે આજે સોમાવતી અમાસ છે. આ દિવસનો મહત્વ વધુ હોવાના કારણે લોકો મોટી સંખ્યામાં પૂજા કરે છે. મોટી સંખ્યામાં લોકો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પૂજા કરવા તથા નદીમાં નહ્વા ઉતર્યા હતા. અહીં લોકોએ સરકારી નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. અહીં કોઈ પોલીસ બંદોબસ્તમાં જોવા મળ્યો નહતો. એક તરફ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ પ્રકારે મોટી સંખ્યામાં લોકોનું ઉમટવું તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે.