1 એપ્રિલથી બદલાશે આર્થિક નિયમો: PAN, પેટ્રોલથી લઈને HRA સુધી, જાણો તમારી જેબ પર શું થશે અસર
નવું નાણાકીય વર્ષ 2026-27 શરૂ થવાની સાથે જ 1 એપ્રિલથી દેશમાં કેટલાક મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય જનતા, ખાસ કરીને પગારદાર કર્મચારીઓ અને ટેક્સપેયર્સ પર પડશે. પાન કાર્ડ, HRA ક્લેમ, ક્રેડિટ કાર્ડ અને પેટ્રોલના ધોરણોમાં કરવામાં આવેલા આ ફેરફારો તમારી ટેક્સ પ્લાનિંગ અને માસિક બજેટ બંનેને પ્રભાવિત કરશે.
PAN કાર્ડના નિયમોમાં ચુસ્તતા: હવે માત્ર આધાર પૂરતું નથી
અત્યાર સુધી નવું પાન કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ એકમાત્ર દસ્તાવેજ તરીકે પૂરતું હતું, પરંતુ 1 એપ્રિલ 2026થી આ સુવિધા સમાપ્ત થઈ રહી છે. નવા નિયમો અનુસાર, હવે પાન કાર્ડ કઢાવવા માટે અથવા તેમાં સુધારો કરવા માટે વધારાના સહાયક દસ્તાવેજો આપવા ફરજિયાત બનશે. આ પગલાનો હેતુ પાન કાર્ડ મેળવવાની પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો છે.
HRA ક્લેમમાં ફેરફાર: મકાનમાલિક સાથેના સંબંધો જાહેર કરવા પડશે
પગારદાર કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. જો તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવો છો, તો તમારે મકાનમાલિકનો PAN નંબર આપવો પડશે. આ સાથે જ નવા ‘ફોર્મ 124’ માં એ પણ જણાવવું પડશે કે મકાનમાલિક તમારા પરિવારના સભ્ય છે કે નહીં. નકલી ભાડાની રસીદો રજૂ કરીને ટેક્સ ચોરી કરનારાઓ પર લગામ કસવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
ક્રેડિટ કાર્ડ પર આવકવેરા વિભાગની નજર
1 એપ્રિલથી ક્રેડિટ કાર્ડના મોટા વ્યવહારો સીધા જ ઇનકમ ટેક્સ વિભાગના રડારમાં આવશે. જો કોઈ વ્યક્તિ વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ ડિજિટલ માધ્યમથી ચૂકવે છે અથવા 1 લાખ રૂપિયાથી વધુનું પેમેન્ટ કેશમાં કરે છે, તો તેની જાણકારી વિભાગને આપવી ફરજિયાત રહેશે. આનાથી તમારા ખર્ચનો સીધો રેકોર્ડ તમારા PAN સાથે જોડાઈ જશે.
ટેક્સ પેમેન્ટમાં નવી સુવિધા અને કંપની કાર્ડના નિયમો
સરકારે કરદાતાઓ માટે એક મોટી રાહત પણ આપી છે. હવે તમે તમારો ઇનકમ ટેક્સ ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ભરી શકશો, જે સુવિધા પહેલા માત્ર નેટ બેંકિંગ કે ડેબિટ કાર્ડ સુધી મર્યાદિત હતી. જોકે, આમાં પ્રોસેસિંગ ફીનું ધ્યાન રાખવું પડશે. બીજી તરફ, જો કોઈ કર્મચારી કંપનીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે અને તેનું બિલ કંપની ભરે છે, તો તેને વ્યક્તિગત લાભ (Perquisite) માની તેના પર ટેક્સ લાગી શકે છે, સિવાય કે તે ખર્ચ સંપૂર્ણપણે ઓફિસના કામ માટે કરવામાં આવ્યો હોય.
નવો આવકવેરા અધિનિયમ 2025 અને પેટ્રોલના નવા ધોરણો
1 એપ્રિલ 2026થી જૂના 1961ના કાયદાના સ્થાને ‘નવો આવકવેરા અધિનિયમ 2025’ અમલી બનશે, જે ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવશે. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણી માટે હવે આખા દેશમાં પેટ્રોલમાં 20% એથેનોલ ભેળવવું ફરજિયાત બનશે. આનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને ભારતની ઉર્જા આત્મનિર્ભરતામાં વધારો થશે, જોકે તેની અસર વાહનોની એન્જિન ગુણવત્તા અને કિંમતો પર પડી શકે છે.

