IPL 2026: BCCIનો મોટો નિર્ણય, આ કારણોસર ઓપનિંગ સેરેમની કરવામાં આવી રદ
IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થવા જઈ રહી છે, પરંતુ ક્રિકેટ ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટૂર્નામેન્ટ શરૂ થવાના ગણતરીના દિવસો પહેલા જ BCCIએ આ વર્ષે ઓપનિંગ સેરેમનીનું આયોજન ન કરવાનો મોટો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે મેદાન પર કોઈ ઝાકઝમાળ કે બોલિવૂડ સિતારાઓનો પર્ફોર્મન્સ જોવા મળશે નહીં.
ગત વર્ષે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર સર્જાઈ હતી મોટી દુર્ઘટના
સામાન્ય રીતે દર વર્ષે આઈપીએલની શરૂઆત ભવ્ય કાર્યક્રમ સાથે કરવામાં આવે છે, પરંતુ આ વખતે બોર્ડે ગંભીર કારણોસર આ પરંપરા તોડવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2025માં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ 17 વર્ષનો દુકાળ ખતમ કરીને પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું, ત્યારે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ જશ્ન દરમિયાન સ્ટેડિયમની બહાર ભારે ભીડને કારણે નાસભાગ (ભગદળ) મચી ગઈ હતી.
11 નિર્દોષ લોકોના સન્માનમાં લેવાયો નિર્ણય
રિપોર્ટ્સ મુજબ, ગત વર્ષે થયેલી એ નાસભાગમાં 11 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાને ધ્યાનમાં રાખીને, BCCIએ આ વર્ષે શો-બાજી કરવાને બદલે તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ વખતે ઓપનિંગ સેરેમની રદ કરવામાં આવી છે અને મેચ શરૂ થતા પહેલા મૌન પાળવામાં આવશે. એટલું જ નહીં, તે 11 લોકોની યાદમાં સ્ટેડિયમમાં 11 સીટો કાયમ માટે ખાલી રાખવાનો પણ ભાવુક નિર્ણય લેવામાં આવ્યો છે.
RCB અને SRH વચ્ચે રમાશે પ્રથમ મુકાબલો
IPL 2026નો પ્રથમ મેચ 28 માર્ચના રોજ બેંગ્લોરના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ગત વર્ષની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામસામે ટકરાશે. એક તરફ RCB પોતાના ટાઇટલને ડિફેન્ડ કરવાના ઈરાદે ઉતરશે, તો બીજી તરફ હૈદરાબાદની ટીમ બીજા ખિતાબની શોધમાં હશે.
ઉલ્લેખનીય છે કે, IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવીને RCB પ્રથમવાર ચેમ્પિયન બન્યું હતું. આ વખતે પણ ચાહકોને હાઈ-વોલ્ટેજ ડ્રામાની આશા છે, ભલે મેદાન પર ગ્લેમરનો તડકો જોવા ન મળે.

