વીરતા પુરસ્કાર વિજેતા સૈનિકોના પરિવારો માટે ભારતીય રેલવેની મોટી જાહેરાત: હવે આજીવન મફત મુસાફરીની સુવિધા
ભારત સરકાર દ્વારા દેશની રક્ષા કાજે અદમ્ય સાહસ બતાવનારા સેનાના જવાનો અને તેમના પરિવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સન્માનજનક નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરના આદેશ મુજબ, સેના, નૌકાદળ અને વાયુસેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓ તેમજ તેમના પરિવારજનો હવે ભારતીય રેલવેમાં આજીવન મફત મુસાફરીનો લાભ લઈ શકશે. સરકારનો આ નિર્ણય સરહદ પર લોહી રેડનારા જવાનોના બલિદાન અને તેમની સેવાને બિરદાવવા માટે લેવામાં આવ્યો છે.
કોને મળશે આ સુવિધાનો લાભ?
નવા જાહેર કરાયેલા આદેશ અનુસાર, આ સુવિધા માત્ર મેડલ વિજેતા સૈનિક પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમના પરિવારના સભ્યોને પણ આવરી લેવામાં આવ્યા છે. મેડલ ધારકોના જીવનસાથી (પતિ અથવા પત્ની) જ્યાં સુધી પુનઃલગ્ન ન કરે ત્યાં સુધી આ સેવાનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત, જો વીરતા પુરસ્કાર વિજેતા સૈનિક અવિવાહિત હોય અને શહીદ થયા હોય, તો તેમના માતા-પિતાને પણ આજીવન મફત રેલવે મુસાફરીની ભેટ આપવામાં આવી છે. આ નિર્ણયથી સેંકડો સૈન્ય પરિવારોને આર્થિક રાહત અને સામાજિક સન્માન મળશે.
કયા કોચમાં કરી શકાશે મુસાફરી?
રેલવે દ્વારા આપવામાં આવતી આ સુવિધામાં મુસાફરીના ક્લાસ બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સંરક્ષણ અધિકારીઓ દ્વારા મળેલી માહિતી મુજબ, વીરતા પુરસ્કાર વિજેતાઓના પરિવારજનો ભારતીય રેલવેની ટ્રેનોમાં ફર્સ્ટ ક્લાસ (1st AC), સેકન્ડ એસી (2 AC) અને એસી ચેર કાર (AC Chair Car) માં મુસાફરી કરી શકશે. ખાસ વાત એ છે કે, તેઓ એક સાથીદાર (એટેન્ડન્ટ) સાથે આ મુસાફરીનો આનંદ માણી શકશે.
સન્માન અને સુવિધાનો સમન્વય
સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય વીર સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. સેનાના ત્રણેય અંગોના જવાનો જેમને વીરતા માટે ચંદ્રક મળ્યા છે, તેમના આશ્રિતોને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે તે માટે રેલવેએ આ કન્સેશન (રિયાયત) આપવાનું નક્કી કર્યું છે. આ સુવિધા માત્ર મુસાફરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દેશના હીરો પ્રત્યેના આદરનું પ્રતીક છે.

