2011 વર્લ્ડ કપની જીત અને ધોની સામેનો રોષ: શું એક ઐતિહાસિક વિજય ભારતીય ક્રિકેટના સૌથી કડવા યુગની શરૂઆત હતી?
સમય કેટલી ઝડપથી વહી જાય છે! આજે પૂરા 15 વર્ષ થઈ ગયા જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં એમ.એસ. ધોનીના એ યાદગાર વિજયી છગ્ગાએ આખા ભારતને દિવાળી જેવો માહોલ આપ્યો હતો. 2 એપ્રિલ 2011ની એ રાત દરેક ભારતીયના હૃદયમાં કોતરાયેલી છે. પરંતુ, આ ભવ્ય જીતની પાછળ એક એવી વાર્તા પણ છુપાયેલી છે જેણે ભારતીય ક્રિકેટમાં વર્ષો સુધી કડવાશ અને નફરતનું વાતાવરણ જાળવી રાખ્યું હતું.
જીત પછીના ‘અંધકારમય’ નિર્ણયો
2011નો વર્લ્ડ કપ જીત્યાના થોડા જ સમયમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓને એકપછી એક સાઈડલાઈન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, ઝહીર ખાન અને હરભજન સિંહ જેવા સ્ટાર્સને ખબર પણ નહોતી કે આ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે. સચિન તેંડુલકર સિવાયના મોટાભાગના ખેલાડીઓ હજુ ઘણું ક્રિકેટ રમી શકે તેમ હતા, છતાં તેમને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો.
જ્યારે 2013માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, ત્યારે 2011ની ફાઈનલ રમલી ટીમમાંથી માત્ર ત્રણ જ ખેલાડી બચ્યા હતા: ધોની, વિરાટ કોહલી અને સુરેશ રૈના. આટલી ઝડપથી સિનિયર ખેલાડીઓની બાદબાકીએ ડ્રેસિંગ રૂમ અને ફેન્સ વચ્ચે એક વિચિત્ર નફરત પેદા કરી હતી.
ગૌતમ ગંભીર અને 97 રનની એ અવગણાયેલી ઇનિંગ
આ વિવાદના કેન્દ્રમાં હંમેશા ગૌતમ ગંભીર રહ્યો છે. ગંભીર, જે અત્યારે ભારતના હેડ કોચ છે, તેમણે અનેકવાર ધોનીની ટીકા કરી છે. તેમનો તર્ક સાચો પણ લાગે છે; ફાઈનલમાં જ્યારે સચિન અને સેહવાગ વહેલા આઉટ થઈ ગયા હતા, ત્યારે ગંભીરની 97 રનની ઇનિંગે જ ભારતને હારના જડબામાંથી બહાર કાઢ્યું હતું. હાઈ-પ્રેશર ગેમમાં કોહલી સાથેની તેમની 83 રનની ભાગીદારી માસ્ટરક્લાસ હતી. છતાં, મેન ઓફ ધ મેચનો એવોર્ડ ધોનીને મળ્યો, જેણે ગંભીરના મનમાં ક્યાંકને ક્યાંક અન્યાયની લાગણી જન્માવી હતી.
હરભજન અને સેહવાગે પણ ઘણીવાર કહ્યું છે કે તેમને એમ કહીને પડતા મૂકાયા કે ટીમ હવે યુવાનોને શોધી રહી છે, જ્યારે તેઓ પોતે ફિટ હતા. આ તમામ ખેલાડીઓએ સીધી કે આડકતરી રીતે ધોનીને આ સ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યો હતો.
સત્તાનું સમીકરણ: શ્રીનિવાસન અને ધોની
ધોની પ્રત્યેની આ નફરત પાછળનું એક મોટું કારણ તત્કાલીન BCCI પ્રેસિડેન્ટ એન. શ્રીનિવાસન સાથેના તેમના સંબંધો પણ હતા. શ્રીનિવાસન ઇન્ડિયા સિમેન્ટ્સના માલિક હતા જે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની માલિકી ધરાવે છે. શ્રીનિવાસને પોતે સ્વીકાર્યું હતું કે તેમણે વિરોધ છતાં ધોનીની કેપ્ટન્સી બચાવી હતી. આ ‘અનલિમિટેડ સપોર્ટ’ ને કારણે ધોની ટીમમાં એટલા શક્તિશાળી બની ગયા હતા કે કોઈ પણ સિનિયર ખેલાડીને બહાર કરવો તેમના માટે સરળ બની ગયું હતું.
શું હવે બરફ પીગળી રહ્યો છે?
ભારતને આગામી ICC ટ્રોફી (2024માં) જીતવા માટે પૂરા 11 વર્ષની રાહ જોવી પડી. આ લાંબા ગાળામાં જૂની કડવાશ પણ ધીમે ધીમે ઓછી થઈ છે. તાજેતરમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ગૌતમ ગંભીર અને એમ.એસ. ધોની વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી વાતચીત જોઈને લાગ્યું કે ખેલાડીઓ હવે ભૂતકાળ ભૂલીને આગળ વધી ગયા છે.
ભારતીય ક્રિકેટ હવે એક નવા અને સફળ યુગમાં છે. જૂના સંબંધો સુધર્યા છે અને ટીમમાં ફરી એકતા દેખાઈ રહી છે. પરંતુ, જ્યારે પણ 2 એપ્રિલનો દિવસ આવે છે, ત્યારે ફેન્સને એ ગૌરવની ક્ષણોની સાથે એ સવાલો પણ યાદ આવે છે કે: શું એ દિગ્ગજોને માનભેર વિદાય આપી શકાઈ હોત

