અમદાવાદમાં કોરોના ટેસ્ટીંગ સેન્ટર પર મેડિકલ સ્ટાફના બદલે વાંદરાની ધિંગામસ્તી જોવા મળી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઠેર-ઠેર કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં વિના મૂલ્યે કોરોના ટેસ્ટિંગ કરાવો અને તુરંત જ રિપોર્ટ મેળવો એવાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે. પરંતુ આ ડોમ શોભાના ગાંઠિયા બની રહ્યા છે.
શહેરના ઉસ્માનપુરા ગાર્ડનની જો વાત કરીએ તો અહીં લગાવવામાં આવેલ ડોમ (ahmedabad rapid test dome)માં ટેસ્ટિંગ કરવા માટે કોઇ જ ટીમ હાજર જ નથી હોતી. ઉલ્ટાનું અહીં વાંદરાઓ ધીંગાણે ચડ્યાં છે. જેથી અહીં કોરોના ટેસ્ટિંગ ટીમ યોગ્ય સમયે હાજર ન રહેતા લોકોને ભારે હાલાંકી પડી રહી છે. સ્થાનિક લોકોનો પ્રશ્ન છે કે, શું આ ડોમમાં ટેસ્ટિંગનો કોઈ ટાઈમ નક્કી છે ખરો?