ગાંધીનગર — અમદાવાદના વાહનો અને દુકાનોથી ધમધમતા એસજી હાઇવે પર લોકોના ટોળાં મધરાત સુધી બેસી રહેતા હતા તે જગ્યાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સીલ કરી દીધી છે. કોરોના સંક્રમણના કેસો ફરી એકવાર અમદાવાદમાં વધી રહ્યાં છે ત્યારે આરોગ્ય અધિકારીઓએ પોલીસને સાથે રાખીને છાપેમારી શરૂ કરી છે.
અમદાવાદમાં ચાની દુકાનો અને સ્ટોલ બંધ કરવામાં આવ્યા છે. એક જ રાતમાં છ સ્ટોલ અને કાફે સીલ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરતાં આ સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. એસજી રોડ પરના શુંભુ કોફીબાર, ડોન કા અડ્ડા, એન્જિનિયર ઇન કિચન, રતલામ કેફે સહિત 6 સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે.
આ પહેલાં અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે 1221 જેટલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 23 પોઝિટીવ કેસ મળ્યાં છે. શહેરના ભરચક વિસ્તારો અને બજારોમાં રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે અને જેમને પોઝિટીવ કેસ હોય તેમને ઘરમાં ક્વોરેન્ટાઇનની સલાહ આપવામાં આવી છે. એસજી હાઇવે પર કરવામાં આવેલી કાર્યવાહી સાથે બીજા સ્ટોલ અને કાફેમાં કોરોના ગાઇડલાઇનનું પાલન શરૂ કરવામાં આવ્યું છે.