PSL 2026: શાહીન આફ્રિદીએ ગુમાવ્યો સંયમ, આઉટ થયા બાદ ગુસ્સામાં તોડ્યું બેટ, વીડિયો થયો વાયરલ
પાકિસ્તાન સુપર લીગમાં અત્યારે મેદાન પર રમતની સાથે ખેલાડીઓનો આક્રમક મિજાજ પણ ચર્ચાનો વિષય બન્યો છે. લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન આફ્રિદી, જેઓ હંમેશા મેદાન પર શાંત અને સ્મિત સાથે જોવા મળે છે, તેમણે ક્વેટા ગ્લેડીયેટર્સ સામેની મેચમાં પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. સતત હાર અને મેદાન પરના ખરાબ પ્રદર્શનના દબાણે શાહીનને એટલા ગુસ્સે કરી દીધા કે તેમણે શરમજનક હરકત કરી નાખી.
ઝીરો પર આઉટ થયા અને ગુસ્સો ફાટી નીકળ્યો
ક્વેટા ગ્લેડીયેટર્સ સામેની મેચમાં લાહોર કલંદર્સની સ્થિતિ પહેલેથી જ નાજુક હતી. જ્યારે શાહીન આફ્રિદી બેટિંગ કરવા મેદાનમાં ઉત્યા, ત્યારે ચાહકોને આશા હતી કે કેપ્ટન પોતાની આક્રમક બેટિંગથી ટીમને મજબૂત સ્કોર સુધી લઈ જશે. પરંતુ, ઉસ્માન તારિકની સ્પિન જાળમાં શાહીન ફસાઈ ગયા અને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગા થયા. આઉટ થતાની સાથે જ શાહીનનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો.
જ્યારે તેઓ મેદાનની બહાર જઈ રહ્યા હતા, ત્યારે બાઉન્ડ્રી લાઇન ઓળંગતાની સાથે જ તેમણે પોતાનું બેટ સાઇટ સ્ક્રીનના ટાયર પર જોરથી પછાડ્યું. એટલું જ નહીં, ડ્રેસિંગ રૂમની સીડીઓ ચડતી વખતે પણ તેમણે પોતાનો ગુસ્સો કાઢવાનું ચાલુ રાખ્યું અને બેટને એટલી જોરથી માર્યું કે તે તૂટી ગયું. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ક્વેટાના બોલરોનો ઘાતક સ્પેલ
લાહોર કલંદર્સના બેટ્સમેનો ક્વેટાના બોલરો સામે તદ્દન લાચાર દેખાતા હતા. ખાસ કરીને ઉસ્માન તારિકે શાનદાર બોલિંગ કરી હતી. તેમણે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી, જેમાં શાહીન આફ્રિદી ઉપરાંત અબ્દુલ્લા શફીક અને સિકંદર રઝા જેવા મોટા નામો સામેલ હતા. આ ઉપરાંત જહાંદાદ ખાને પણ 3 વિકેટ ઝડપી હતી. આ શિસ્તબદ્ધ બોલિંગને કારણે લાહોરની ટીમ 20 ઓવરમાં માત્ર 134 રન જ બનાવી શકી હતી, જે ક્વેટા માટે ખૂબ જ નાનો ટાર્ગેટ હતો.
હારનો સિલસિલો અને પોઈન્ટ ટેબલમાં લાહોરની દશા
લાહોર કલંદર્સ માટે PSL 2026ની આ સીઝન અત્યાર સુધી ભૂલી જવા જેવી રહી છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી માત્ર 2 માં જ જીત મેળવી છે, જ્યારે 4 મેચોમાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. કેપ્ટન તરીકે શાહીન આફ્રિદી પર આનું ભારે દબાણ છે, કારણ કે ટીમ પોઈન્ટ ટેબલમાં અત્યારે 7મા સ્થાને છે. બીજી તરફ, બાબર આઝમની કેપ્ટનશીપ વાળી પેશાવર ઝાલ્મીની ટીમ 7 મેચમાં 6 જીત સાથે 13 પોઈન્ટ મેળવીને ટેબલમાં ટોચ પર બિરાજમાન છે.
Shaheen Afridi after getting out angrily 😤🔥 pic.twitter.com/opnRTHMo6A
— Ahtasham Riaz (@ahtashamriaz22) April 17, 2026
ક્રિકેટ જગતમાં શાહીનની ટીકા
શાહીન આફ્રિદી પાકિસ્તાન ક્રિકેટનો મોટો ચહેરો છે અને ઘણા યુવા ખેલાડીઓ તેને આદર્શ માને છે. આવા સંજોગોમાં મેદાન પર આ રીતે સાધનો તોડવા અને ગુસ્સો કરવો તે યોગ્ય ગણાય નહીં. ઘણા પૂર્વ ક્રિકેટરો અને ચાહકોનું માનવું છે કે કેપ્ટને મુશ્કેલ સમયમાં શાંત રહેવું જોઈએ જેથી ટીમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે. શાહીનનો આ ગુસ્સો દર્શાવે છે કે ટીમની નિષ્ફળતા તેને અંદરથી ખાઈ રહી છે.
શું લાહોર કલંદર્સ વાપસી કરી શકશે?
લાહોર માટે હવે પ્લેઓફની રેસમાં ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. આગામી મેચોમાં જીત મેળવવા ઉપરાંત તેમણે રન રેટ પર પણ ધ્યાન આપવું પડશે. શાહીન આફ્રિદીએ માત્ર પોતાની બોલિંગ અને બેટિંગ પર જ નહીં, પણ પોતાના વર્તન પર પણ કાબૂ રાખવો પડશે. જો કેપ્ટન જ મેદાન પર હિંમત હારી જશે અથવા ગુસ્સામાં આવી જશે, તો બાકીના ખેલાડીઓ પર તેની નકારાત્મક અસર પડશે.
