ઘરમાં રાખેલું AC બોમ્બની જેમ ફાટી શકે છે! જાણો કોમ્પ્રેસર બ્લાસ્ટથી બચવા માટેની ખાસ સાવચેતીઓ.
આ વર્ષે ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે અને ગરમી આકરો મિજાજ બતાવી રહી છે. આ ભીષણ તાપમાં એર કન્ડીશનર (AC) હવે મોજશોખની વસ્તુ મટીને દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. પરંતુ, આરામ આપતું આ સાધન ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં સામે આવેલા AC બ્લાસ્ટના કિસ્સાઓએ લોકોને વિચારતા કરી દીધા છે. જોકે આવા કિસ્સાઓ ઓછા બને છે, પરંતુ જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે તે અત્યંત વિનાશક હોય છે.
AC બ્લાસ્ટ થવા પાછળના મુખ્ય કારણો
કોઈપણ એર કન્ડીશનરમાં વિસ્ફોટ થવા પાછળ કોઈ એક કારણ નહીં, પણ અનેક પરિબળો જવાબદાર હોય છે. નિષ્ણાતોના મતે નીચે મુજબની બાબતો જોખમમાં વધારો કરે છે:
૧. કોમ્પ્રેસર પર વધતું દબાણ
AC બ્લાસ્ટનું સૌથી મોટું કારણ તેના કોમ્પ્રેસરની અંદર દબાણ (Pressure) વધી જવું તે છે. જ્યારે સિસ્ટમમાં કોઈ યાંત્રિક ખામી હોય, મશીન સતત ઓવરહીટ થઈ રહ્યું હોય અથવા એરફ્લો બ્લોક થઈ ગયો હોય, ત્યારે ગેસનું દબાણ અસહ્ય બની જાય છે અને તે વિસ્ફોટનું સ્વરૂપ લે છે.
૨. જ્વલનશીલ ગેસનું લીકેજ
આજના આધુનિક ACમાં R290 (પ્રોપેન) અને R32 જેવા રેફ્રિજરેન્ટ ગેસનો ઉપયોગ થાય છે. આ ગેસ ખૂબ જ જ્વલનશીલ હોય છે. જો AC માંથી ગેસ લીક થઈને રૂમમાં ફેલાય અને તે વીજળીના કોઈ સ્પાર્ક (તણખા) ના સંપર્કમાં આવે, તો ભયાનક આગ લાગી શકે છે અથવા બ્લાસ્ટ થઈ શકે છે.
૩. ખરાબ ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સનો અભાવ
ઘણીવાર આપણે સસ્તાના ચક્કરમાં બિનઅનુભવી ટેકનિશિયન પાસે AC ફિટ કરાવીએ છીએ. જો ઇન્સ્ટોલેશન વખતે પાઇપમાં હવા અથવા ભેજ રહી જાય, તો તે અંદર જઈને એસિડ બનાવે છે જે મશીનને અંદરથી નબળું પાડે છે. ગંદા ફિલ્ટર અને વાયરિંગમાં રહેલી ખામી ધીમે ધીમે કોમ્પ્રેસર પર લોડ વધારે છે, જે જોખમી છે.
તમારી આ ભૂલો પડી શકે છે ભારે
મોટાભાગના અકસ્માતો ત્યારે થાય છે જ્યારે આપણે સર્વિસિંગમાં બેદરકારી રાખીએ છીએ. જો AC ની સર્વિસ કરતી વખતે યોગ્ય રીતે ‘વેક્યૂમિંગ’ કરવામાં ન આવે, તો સિસ્ટમમાં રહેલો ભેજ ધાતુને નબળી પાડી દે છે. આ સિવાય, જૂની થઈ ગયેલી વાયરિંગ અને નબળા પ્લગ પણ શોર્ટ સર્કિટનું કારણ બને છે જે સીધું એસી યુનિટ સુધી પહોંચી શકે છે.
AC બ્લાસ્ટથી કેવી રીતે બચવું? (સુરક્ષા ટિપ્સ)
થોડી સાવધાની રાખવાથી તમે આ મોટી દુર્ઘટનાને ટાળી શકો છો. આ બાબતોનું ખાસ ધ્યાન રાખો:
-
નિયમિત સર્વિસ: દર ૬ મહિનામાં ઓછામાં ઓછી એક વાર પ્રોફેશનલ ટેકનિશિયન પાસે AC ની સર્વિસ જરૂર કરાવો.
-
ગિફ્ટ પેકિંગ ન કરો: ઘણા લોકો આઉટડોર યુનિટને તડકાથી બચાવવા માટે ઢાંકી દે છે, જેનાથી તેની ગરમી બહાર નીકળી શકતી નથી. આઉટડોર યુનિટની આસપાસ હવાની અવરજવર હોવી ખૂબ જરૂરી છે.
-
રીપેરીંગ વખતે સાવચેતી: જ્યારે એસી રિપેર થઈ રહ્યું હોય ત્યારે તેને ક્યારેય ચાલુ ન કરો. ટેકનિશિયનને ગેસ લીકેજ અને વાયરિંગ બરાબર તપાસવા માટે કહો.
-
ફિલ્ટર અને કોઈલની સફાઈ: ગંદા ફિલ્ટરને કારણે એસીને ઠંડક કરવા માટે વધુ તાકાત લગાવવી પડે છે, જે કોમ્પ્રેસરને ગરમ કરે છે. ફિલ્ટરને દર ૧૫ દિવસે જાતે સાફ કરો.
-
વોલ્ટેજ સ્ટેબિલાઈઝર: જો તમારા વિસ્તારમાં વીજળીમાં વધ-ઘટ થતી હોય, તો સારી ગુણવત્તાનું સ્ટેબિલાઈઝર વાપરવું હિતાવહ છે.

