ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસનો આંકડો એકંદરે 1200ની નીચે અને સંક્રમણથી મરનાર દર્દીઓની સંખ્યા પણ એકંદરે સ્થિર રહી છે. ગુજરાત રાજ્યમાં આજે બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1137 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં સતત બીજા દિવસે 1100થી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,62,985 લાખ થઇ ગઇ છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1279 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,39,149 લાખથી વધારે છે.
ગુજરાતમાં મંગળવારે કોરોના સંક્રમણથી વધુ 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 2, સુરતમાં 3, બનાસકાંઠા, ભરૂચ, ગીર-સોમનાથ અને વડોદરામાં 1-1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3663 લોકોને ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ મોત અમદાવાદ અને ત્યારબાદ સુરતમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણથી 1881 અને સુરતમાં 833 લોકોના મોત થયા છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા 14,215 છે, જેમાંથી હાલમાં 75 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,985 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 55,32,522 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,38,809 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,38,553ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 256 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.