IPL 2026: શું મુંબઈ સામેના હાઈ-વોલ્ટેજ ડ્રામામાં MS ધોનીની એન્ટ્રી થશે? સુરેશ રૈનાએ આપેલા સંકેતોથી ચાહકોમાં ભારે ઉત્તેજના
ભારતીય ક્રિકેટ જગતમાં જ્યારે પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામસામે હોય છે, ત્યારે તેને ‘ક્રિકેટનું અલ-ક્લાસિકો’ માનવામાં આવે છે. પરંતુ આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની આ ટક્કર માત્ર બે ટીમો વચ્ચેની લડાઈ નથી, પરંતુ કરોડો ચાહકો માટે એક જ સવાલનો જવાબ મેળવવાની ક્ષણ છે: “શું થાલા (MS ધોની) મેદાનમાં ઉતરશે?”
છેલ્લા કેટલાક સમયથી ચાહકો ધોનીની એક ઝલક જોવા માટે તરસી રહ્યા છે, અને હવે CSKના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુરેશ રૈનાએ આ બાબતે એક મોટું નિવેદન આપીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
સુરેશ રૈનાનું મોટું અપડેટ: “હવે આવશે ને મજા!”
CSK અને મુંબઈ વચ્ચેના મુકાબલા પહેલા રમત જગતમાં અટકળો તેજ હતી, ત્યારે ધોનીના ખાસ મિત્ર અને પૂર્વ સાથી ખેલાડી સુરેશ રૈનાએ જીઓ સ્ટાર (JioStar) પર વાતચીત દરમિયાન ચાહકોના દિલ જીતી લે તેવું નિવેદન આપ્યું છે. રૈનાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું, “કદાચ આજે તે રમી રહ્યો છે. હા, આજે તે રમી રહ્યો છે. રમી રહ્યો છે ભાઈ લોકો (આજે રાત્રે તે ચોક્કસ રમશે).”
રૈનાના આ શબ્દો સાંભળતા જ એન્કર જતિન સપ્રૂએ પણ ઉત્સાહમાં આવીને કહ્યું, “અબ આયેગા ના મઝા!” (હવે આવશે ને મજા). રૈના અને ધોની વચ્ચેના ગાઢ સંબંધોને જોતા, રૈનાનું આ વિધાન માત્ર અંદાજો નહીં પણ એક મજબૂત સંકેત માનવામાં આવી રહ્યો છે.
ઈજા અને રિકવરી: ધોની શા માટે મેદાનથી દૂર હતો?
IPL 2026 ની શરૂઆત પહેલા જ સમાચાર આવ્યા હતા કે MS ધોની ‘કાફ સ્ટ્રેન’ (પિંડલીની માંસપેશીઓમાં ખેંચાણ) થી પીડાઈ રહ્યો છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે તે માત્ર પ્રથમ બે અઠવાડિયા જ બહાર રહેશે, પરંતુ 44 વર્ષની વયે રિકવરીમાં અપેક્ષા કરતા વધુ સમય લાગ્યો. આ વિલંબને કારણે ચાહકોના મનમાં ડર હતો કે શું ધોની આ આખી સીઝન રમી શકશે કે કેમ?
જોકે, શુક્રવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ધોની સંપૂર્ણ લયમાં જોવા મળ્યો હતો. તેણે માત્ર બેટિંગની પ્રેક્ટિસ જ નહીં, પરંતુ વિરોધી ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ સાથે લાંબી વાતચીત પણ કરી હતી. આ દ્રશ્યોએ સાબિત કર્યું કે ધોની શારીરિક રીતે હવે ફિટનેસની નજીક છે.
ટીમ સાથે પ્રવાસ ન કરવાનું રહસ્ય: માઈકલ હસીનો ખુલાસો
ઘણા સમયથી એક વાત ચર્ચામાં હતી કે ધોની પ્રેક્ટિસ સેશનમાં તો દેખાય છે, પરંતુ મેચના દિવસે તે ટીમ બસમાં કે સ્ટેડિયમમાં કેમ નથી હોતો? આ રહસ્ય પરથી પડદો ઉઠાવતા CSKના બેટિંગ કોચ માઈકલ હસીએ જણાવ્યું કે, ધોની જાણીજોઈને લાઈમલાઈટથી દૂર રહે છે.
હસીના જણાવ્યા અનુસાર, ધોની નથી ઈચ્છતો કે તેની હાજરીને કારણે બધું ધ્યાન તેના પર કેન્દ્રિત થઈ જાય. તે ઈચ્છે છે કે યુવા ખેલાડીઓ દબાણ વગર પોતાની રમત પર ધ્યાન આપે. ધોનીની આ નિઃસ્વાર્થ ભાવનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે શા માટે મહાન કેપ્ટન છે. જોકે, હસીએ સ્પષ્ટ કર્યું કે ધોનીની રિકવરી ખૂબ જ સારી છે અને અંતિમ નિર્ણય ટોસ પહેલા લેવામાં આવશે.
CSK માટે આ મેચ કેમ મહત્વની છે?
વર્તમાન પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યારે સંકટમાં છે. ટીમ પોઈન્ટ ટેબલના નીચેના ભાગમાં એટલે કે સાતમા ક્રમે સંઘર્ષ કરી રહી છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમ સામે જીત મેળવવી અનિવાર્ય છે.

