મધ્યસ્થી બની પાકિસ્તાને કરી લીધી પોતાની ‘ધંધાની ગોઠવણ’: ઈરાનના માલથી કરી રહ્યું છે કરોડોની કમાણી
વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં જ્યારે ઈરાન ચોતરફથી આર્થિક અને લશ્કરી દબાણનો સામનો કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન તેના માટે એક મહત્વની ‘લાઈફલાઈન’ બનીને ઉભરી આવ્યું છે. અમેરિકા દ્વારા દરિયાઈ નાકેબંધી (Blockade) અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથેના વણસેલા સંબંધો વચ્ચે પાકિસ્તાને ઈરાન માટે પોતાના બંદરો અને જમીની રસ્તાઓ ખોલી નાખ્યા છે. આ વ્યૂહાત્મક પગલાથી પાકિસ્તાન માત્ર ઈરાનને મદદ જ નથી કરી રહ્યું, પરંતુ ટ્રાન્ઝિટ ફી અને લોજિસ્ટિક્સ દ્વારા જંગી કમાણી પણ કરી રહ્યું છે.
અમેરિકી દબાણ અને બદલાતા સમીકરણો
હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકી નૌકાદળની સતત વધતી જતી સક્રિયતા અને નાકેબંધીને કારણે ઈરાનનો વૈશ્વિક વ્યાપાર જોખમમાં મુકાયો છે. આ અગાઉ ઈરાન પોતાના વ્યાપારી માલની હેરફેર માટે મોટાભાગે UAE ના ‘જેબેલ અલી’ જેવા બંદરો પર નિર્ભર રહેતું હતું. જોકે, તાજેતરના યુદ્ધ અને પ્રાદેશિક તણાવને કારણે ઈરાન અને UAE ના સંબંધોમાં ભારે ખટાશ આવી છે.
જ્યારે જૂના રસ્તાઓ બંધ થયા, ત્યારે ઈરાને પૂર્વ તરફ નજર દોડાવી અને પાકિસ્તાન સાથેના વર્ષો જૂના, પણ ધૂળ ખાતા કરારોને જીવંત કર્યા. આ પરિસ્થિતિએ પાકિસ્તાનને એક ‘બિઝનેસ હબ’ તરીકે સ્થાપિત થવાની સુવર્ણ તક આપી દીધી છે.
2008નો કરાર અને 2026નો નવો વળાંક
અહેવાલ મુજબ, પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયે તાજેતરમાં ‘પાકિસ્તાન ટ્રાન્ઝિટ ટ્રેડ ઓર્ડર 2026’ જારી કર્યો છે. આ આદેશ વાસ્તવમાં 2008માં તેહરાન અને ઈસ્લામાબાદ વચ્ચે થયેલા દ્વિપક્ષીય માર્ગ પરિવહન કરારને સક્રિય કરે છે. નવાઈની વાત એ છે કે આટલા વર્ષો સુધી આ સમજૂતી કાગળ પર જ હતી, પરંતુ વર્તમાન સંકટમાં તે બંને દેશો માટે વરદાન સાબિત થઈ રહી છે.
આ નવા આદેશ હેઠળ, પાકિસ્તાને છ જમીની રસ્તાઓ ખોલ્યા છે જે પાકિસ્તાનના ત્રણ મુખ્ય બંદરોને બલુચિસ્તાન થઈને ઈરાની સરહદ (ગબ્દ અને તાફતાન) સાથે જોડે છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી તાજેતરમાં જ પાકિસ્તાનની મુલાકાતે હતા અને વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી.
કરાચી અને ગ્વાદર: ઈરાનના વ્યાપારના નવા પ્રવેશદ્વાર
પાકિસ્તાનના ત્રણ બંદરો—કરાચી પોર્ટ, પોર્ટ કાસિમ અને ગ્વાદર—હવે ઈરાની કાર્ગો માટે મુખ્ય લોજિસ્ટિકલ ગેટવે બની ગયા છે.
કરાચી અને પોર્ટ કાસિમ: આ બંને બંદરો વાર્ષિક આશરે 42 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. યુદ્ધ શરૂ થયા બાદ, ઈરાન તરફ જતી વ્યાપારી ચીજવસ્તુઓનો લગભગ 75 ટકા હિસ્સો એકલા કરાચી બંદર દ્વારા જ સંભાળવામાં આવી રહ્યો છે.
ગ્વાદર બંદર: ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) ના કેન્દ્ર સમાન ગ્વાદર બંદર ઈરાનના ચાબહાર બંદરથી માત્ર 170 કિલોમીટર દૂર છે. ભૌગોલિક નિકટતાને કારણે તે ઈરાન માટે સૌથી સસ્તો અને ઝડપી વિકલ્પ સાબિત થઈ રહ્યું છે.
ખર્ચમાં 55% નો ઘટાડો અને પાકિસ્તાનને ફાયદો
આ નવા ટ્રાન્ઝિટ રૂટથી સૌથી મોટો ફાયદો સમય અને નાણાંનો છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા મુજબ, ગ્વાદર-ગબ્દ કોરિડોર દ્વારા ઈરાન સુધી પહોંચવાનો સમય ઘટીને માત્ર 2 થી 3 કલાક થઈ ગયો છે. અગાઉ કરાચીના લાંબા રસ્તેથી માલ મોકલવામાં જે ખર્ચ થતો હતો, તેની સરખામણીએ આ નવા રૂટથી પરિવહન ખર્ચમાં 45 થી 55 ટકા જેટલો માતબર ઘટાડો થવાનો અંદાજ છે.
જ્યારે ઈરાનનો માલ પાકિસ્તાનની ધરતી પરથી પસાર થાય છે, ત્યારે પાકિસ્તાન તેના પર ટ્રાન્ઝિટ ટેક્સ, પોર્ટ હેન્ડલિંગ ચાર્જિસ અને ઈંધણના વેચાણ દ્વારા જંગી કમાણી કરી રહ્યું છે. આનાથી પાકિસ્તાનની લથડતી અર્થવ્યવસ્થાને ટેકો મળી રહ્યો છે.
ભૌગોલિક રાજનીતિ અને પડકારો
જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ છે. પાકિસ્તાન જે રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે, તેનાથી અમેરિકા નારાજ થઈ શકે છે. અમેરિકાએ ઈરાન પર કડક પ્રતિબંધો લાદેલા છે, અને પાકિસ્તાન દ્વારા આપવામાં આવતી આ સુવિધા તે પ્રતિબંધોની અસરને ઓછી કરી રહી છે.
બીજી તરફ, ચીન પણ આ હિલચાલ પર નજર રાખી રહ્યું છે. ગ્વાદર બંદરનું સંચાલન ચીની કંપની કરી રહી છે, તેથી ઈરાની વ્યાપાર વધવાથી ચીનને પણ આડકતરો ફાયદો થઈ રહ્યો છે. આ એક એવું જટિલ ત્રિકોણ બની રહ્યું છે જેમાં પાકિસ્તાન પોતાની ભૌગોલિક સ્થિતિનો ઉપયોગ કરીને આર્થિક ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

