પંજાબ કિંગ્સની હારનો અસલી ‘વિલન’ કોણ? મેદાન પર ટીમનું નસીબ બગાડ્યું
આઈપીએલ (IPL) ની રોમાંચક સફરમાં પંજાબ કિંગ્સની ગાડી અત્યારે પાટા પરથી ઉતરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શરૂઆતમાં શાનદાર ફોર્મમાં દેખાતી આ ટીમને હવે સતત ત્રીજી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ હારને કારણે પોઈન્ટ ટેબલમાં પણ પંજાબની ટીમ નીચે સરકી ગઈ છે. ક્રિકેટના નિષ્ણાતો અને ચાહકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે, આખરે આ હાર માટે જવાબદાર કોણ? જો મેદાન પરની ઘટનાઓનું વિશ્લેષણ કરવામાં આવે તો એક નામ સૌથી વધુ ચર્ચામાં છે અને તે છે શશાંક સિંહ.
મેદાન પર પંજાબનું ‘બેડું ગર્ક’ કરનાર એ કેચ!
મેચ એવી ક્ષણે હતી જ્યાં કોઈપણ ટીમ બાજી મારી શકે તેમ હતી. પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ મેદાનમાં હતી. હૈદરાબાદની બેટિંગ દરમિયાન જ્યારે પારીની 9મી ઓવર ચાલી રહી હતી, ત્યારે મેદાન પર કંઈક એવું બન્યું જેણે મેચનો આખો રૂખ બદલી નાખ્યો. કેપ્ટને યુઝવેન્દ્ર ચહલને બોલ સોંપ્યો હતો. હેનરિક ક્લાસેન જેવા ખતરનાક બેટ્સમેન સામે ચહલે પોતાની જાળ બિછાવી હતી.
ઓવરના ચોથા બોલ પર ક્લાસેને મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પણ બોલ બેટ પર બરાબર આવ્યો નહીં અને હવામાં ઊંચે ગયો. ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર ઉભેલા શશાંક સિંહ પાસે આ એક અત્યંત સરળ, જેને ક્રિકેટની ભાષામાં ‘લડ્ડુ કેચ’ કહેવાય તેવો મોકો હતો. પરંતુ શશાંકે આ કેચ છોડી દીધો. આ દ્રશ્ય જોઈને કેપ્ટનથી લઈને બોલર ચહલ સુધીના તમામ ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
જીવતદાન મળ્યા બાદ ક્લાસેનનો કેર
ક્રિકેટમાં કહેવાય છે કે ‘કેચ વિન મેચ’ (Catch wins match), અને શશાંકની આ ભૂલ પંજાબને ખૂબ મોંઘી પડી. જ્યારે શશાંકે ક્લાસેનનો કેચ છોડ્યો ત્યારે તે માત્ર 9 રન પર રમી રહ્યો હતો. જો ત્યારે ક્લાસેન આઉટ થઈ ગયો હોત તો હૈદરાબાદનો સ્કોર કદાચ આટલો મોટો ન થયો હોત. પરંતુ જીવતદાન મળ્યા બાદ ક્લાસેન વધુ આક્રમક બન્યો. તેણે પંજાબના બોલરોની બરાબરની ધુલાઈ કરી અને 43 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ રમી નાખી. તેની આ ઇનિંગના જોરે હૈદરાબાદે 235 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો.
ફિલ્ડિંગમાં નબળાઈ: સતત કેચ ટપકાવવાની આદત?
આ પહેલીવાર નથી કે જ્યારે શશાંક સિંહે મેદાન પર આવી ભૂલ કરી હોય. આ સીઝનમાં તેની ફિલ્ડિંગ અને ખાસ કરીને કેચિંગ ફોર્મ ઘણું નબળું રહ્યું છે. ક્લાસેનનો કેચ છોડવાની સાથે શશાંકની બીજી મોટી ભૂલ એ હતી કે તે બાઉન્ડ્રીની ખૂબ નજીક ઉભો હતો. કેચ છૂટવાની સાથે બોલ તેના હાથને અડીને બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો, જેના કારણે પંજાબને વધારાના 4 રન પણ આપવા પડ્યા. ટી20 ક્રિકેટમાં જ્યારે હાર-જીતનો તફાવત બહુ ઓછો હોય છે, ત્યારે આવી નાની ભૂલો પણ મોટી સાબિત થાય છે.
What’s happening out there? 😲
🎥 Cooper Connolly, Shashank Singh and Lockie Ferguson drop crucial chances 🫣
How costly will these be? 👇
Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS pic.twitter.com/dgru0kHkir
— IndianPremierLeague (@IPL) May 6, 2026
બેટિંગમાં પણ ફ્લોપ: રન બનાવવાની ક્ષણે પેવેલિયન ભેગા થયા
જ્યારે ટીમ 236 રન જેવા મોટા લક્ષ્યનો પીછો કરી રહી હોય, ત્યારે અપેક્ષા હોય છે કે મિડલ ઓર્ડરના બેટ્સમેનો જવાબદારી સંભાળશે. શશાંક સિંહ પાસેથી અપેક્ષા હતી કે તે પોતાની ફિલ્ડિંગની ભૂલનો પસ્તાવો બેટિંગમાં રન બનાવીને કરશે. તેને સાતમા નંબરે બેટિંગ કરવાનો મોકો પણ મળ્યો. પરંતુ અહીં પણ તે સાવ નિષ્ફળ રહ્યો. દબાણ હેઠળ શશાંક માત્ર 3 બોલ રમીને 4 રન બનાવી આઉટ થઈ ગયો. તેના આઉટ થવાની સાથે જ પંજાબની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું.
