અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થતા આજે શનિવારે ફરી રેકોર્ડબ્રેક 1515 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનિય છે કે, કોરોના સંક્રમણને રોકવા માટે અમદાવાદ બાદ આજથી રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતમાં હવે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,98,786 લાખ થઇ ગઇ છે.
કરફ્યુ વચ્ચે પણ અમદાવાદમાં કોરોના બેકાબૂ થઇ રહ્યો છે અને નવા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે પૂરા થયેલા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 354 નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદ જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં આજે શનિવારે કૂલ 373 નવા કોરોના કેસ નોંધાયા છે. ઉપરાંત આજે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે.
ઉલ્લેખનિય છે કે, આજે શનિવારે ગુજરાતમાં કોરોનાથી 9 દર્દીઓના મોત થયા છે જેમાં સૌથી વધુ મોત અમદાવાદમાં નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 2, ગીર સોમનાથમાં 1, રાજકોટમાં 1 દર્દીનું મૃત્યુ થયુ છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 3846 પહોંચી ગયો છે.
તો બીજી બાજુ આજે અમદાવાદમાં 322 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આ સાથે આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 1271 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,78,786 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 91.26 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ફરી 13 હજારને વટાવી ગઇ છે અને આજે 13,285 પહોંચી ગઇ છે, જેમાંથી હાલમાં 95 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 70,388 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 71,71,445 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 4,86,806 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,86,712ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 94 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.