બંગાળમાં સત્તા પરિવર્તન: મમતા બેનર્જીએ X પર બદલ્યું પોતાનું બાયો, જાણો હવે શું લખીને આપ્યો સંકેત?
પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં એક યુગનો અંત આવ્યો છે અને નવા અધ્યાયની શરૂઆત થઈ છે. લાંબી રસાકસી અને અનેક વિવાદો બાદ આખરે પશ્ચિમ બંગાળને નવા મુખ્યમંત્રી મળી ગયા છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ શનિવારે મુખ્યમંત્રી પદના શપથ લેતાની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ હકીકતનો સ્વીકાર કરીને પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ (X) પર મોટો ફેરફાર કર્યો છે.
શું ફેરફાર કર્યો મમતા બેનર્જીએ?
ગઈકાલ સુધી મમતા બેનર્જીના ઓફિશિયલ X હેન્ડલ પર તેમના નામની નીચે ‘પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી’ (Chief Minister of West Bengal) લખેલું હતું. પરંતુ શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહ બાદ તરત જ તેમણે પોતાનું ‘બાયો’ અપડેટ કર્યું છે.
હવે મમતા બેનર્જીએ પોતાના બાયોમાં લખ્યું છે: “અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ.” ત્યારબાદ તેમણે નીચે લખ્યું છે, “પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી (15મી, 16મી અને 17મી વિધાનસભા).” આ ફેરફારમાં નોંધવા જેવી બાબત એ છે કે તેમણે હજુ પણ પોતાના નામ આગળ ‘પૂર્વ’ (Former) શબ્દ લગાવવાનું ટાળ્યું છે, પરંતુ ત્રણ વિધાનસભાઓનો ઉલ્લેખ કરીને તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે તેમનો કાર્યકાળ પૂરો થયો છે.
હાર છતાં રાજીનામું ન આપવાની જીદ
ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદથી જ મમતા બેનર્જીના વલણને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ભાજપને બહુમતી મળી હોવા છતાં મમતાએ શરૂઆતમાં રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, “હું હારી નથી, તો પછી રાજીનામું શા માટે આપું?”
સામાન્ય રીતે લોકતાંત્રિક પરંપરા મુજબ, જ્યારે ચૂંટણીમાં શાસક પક્ષની હાર થાય છે, ત્યારે મુખ્યમંત્રી તે જ દિવસે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપતા હોય છે. વર્ષ 2011માં જ્યારે ડાબેરી મોરચાની હાર થઈ હતી, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ તુરંત જ પદ છોડી દીધું હતું. જોકે, મમતા બેનર્જીએ બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીને 7 મે સુધી કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે પદ જાળવી રાખ્યું હતું.
શુભેન્દુ અધિકારી: બંગાળના 9મા મુખ્યમંત્રી
બીજી તરફ, શુભેન્દુ અધિકારી માટે આ દિવસ ઐતિહાસિક વિજય સમાન છે. તેઓ પશ્ચિમ બંગાળના 9મા મુખ્યમંત્રી બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની હાજરીમાં તેમણે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. શપથ લેતાની સાથે જ શુભેન્દુએ પણ પોતાના સોશિયલ મીડિયા બાયોમાં ‘વિપક્ષના નેતા’ હટાવીને ‘પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી’ લખી દીધું છે.
શુભેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં અશક્યને શક્ય કરી બતાવ્યું છે. તેમણે બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી – પોતાની પરંપરાગત બેઠક નંદીગ્રામ અને દક્ષિણ કોલકાતાની હાઈ પ્રોફાઈલ બેઠક ભવાનીપુર. ભવાનીપુરમાં તેમણે મમતા બેનર્જીને સીધી ટક્કર આપીને 15,000 થી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા, જે તૃણમૂલ કોંગ્રેસ માટે મોટો આંચકો ગણાય છે.
ચૂંટણીના આંકડા અને ભાજપનું વર્ચસ્વ
આ વખતે બંગાળમાં ‘કેસરીયો’ લહેરાયો છે. રાજ્યની 294 બેઠકોમાંથી ભાજપે 207 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. જ્યારે દાયકાઓ સુધી બંગાળ પર રાજ કરનાર તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 80 બેઠકો પર જ સીમિત રહી ગઈ છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે ભ્રષ્ટાચારના આરોપો, કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અને શુભેન્દુ અધિકારીનું ગ્રાઉન્ડ લેવલનું કનેક્શન ભાજપની જીતમાં નિર્ણાયક સાબિત થયા છે.
બંગાળના રાજકારણની નવી દિશા
મમતા બેનર્જી દ્વારા બાયોમાં કરવામાં આવેલો આ ફેરફાર સૂચવે છે કે હવે તેઓ વિપક્ષમાં બેસવાની અને લડવાની તૈયારી કરી રહ્યા છે. ‘દીદી’ તરીકે જાણીતા મમતા બેનર્જી હાર્યા હોવા છતાં તેમનું લડાયક તેવર અકબંધ છે. બીજી તરફ, નવનિયુક્ત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સામે રાજ્યના વિકાસ અને શાંતિ જાળવવાનો મોટો પડકાર છે.

