સોમનાથ અમૃત મહોત્સવ: શ્રદ્ધા અને ભવ્યતાનો સંગમ, 11 પવિત્ર તીર્થોના જળથી પીએમ મોદીએ કર્યો શિખર અભિષેક
ગુજરાતના દરિયાકિનારે બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અત્યારે ભક્તિ અને શક્તિનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થયા હતા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ અને કલાકારો ઉમટી પડ્યા છે.
પુનઃનિર્માણના 75 વર્ષ: સનાતન વિરાસતનું ગૌરવ
આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનું પ્રતીક છે. આઝાદી પછી ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આજે જ્યારે આ ભવ્ય મંદિરના નિર્માણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ‘સોમનાથ અમૃત પર્વ-2026’ અંતર્ગત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ સોમનાથ પહોંચતા પહેલા એક ભવ્ય રોડ-શો યોજ્યો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ જોડાયા હતા. લોકોએ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક
આ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ સોમનાથ મંદિરના 90 મીટર ઊંચા ભવ્ય શિખર પર કરવામાં આવેલો ‘કુંભાભિષેક’ છે. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર શિખર પર આ પ્રકારે અભિષેક કરવામાં આવ્યો છે. આ વિધિ માટે દેશના 11 અત્યંત પવિત્ર તીર્થસ્થાનોનું જળ મંગાવવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે કુંભાભિષેકની પરંપરા દક્ષિણ ભારતના મંદિરોમાં વધુ જોવા મળે છે, જ્યાં દર 10 થી 12 વર્ષે મંદિરના શુદ્ધિકરણ માટે આ વિધિ કરવામાં આવે છે. સોમનાથમાં આ દક્ષિણ ભારતીય પરંપરા અને ઉત્તર ભારતીય સ્થાપત્યનો અનોખો સુમેળ જોવા મળ્યો હતો. વડાપ્રધાને જાતે વિશેષ પૂજા-અર્ચના કરી આ પવિત્ર કાર્યમાં ભાગ લીધો હતો.
ટેકનોલોજી અને એન્જિનિયરિંગનો અદભૂત સમન્વય
શિખર પર જલાભિષેક કરવાનું કાર્ય અત્યંત જટિલ અને પડકારજનક હતું. આ માટે વહીવટી તંત્રે અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કર્યો હતો:
વિશેષ કલશ: અભિષેક માટે 1,100 લિટરની ક્ષમતા ધરાવતો ખાસ કલશ તૈયાર કરવામાં આવ્યો હતો. આ કલશનું વજન 760 કિલોગ્રામ છે અને જ્યારે તેમાં પવિત્ર જળ ભરવામાં આવ્યું ત્યારે તેનું કુલ વજન અંદાજે 1.86 ટન થઈ ગયું હતું.
ભવ્ય ક્રેનનો ઉપયોગ: આટલા વજનદાર કલશને 90 મીટર (આશરે 300 ફૂટ)ની ઊંચાઈએ પહોંચાડવા માટે 350 ટનની ક્ષમતા ધરાવતી ‘ઓલ-ટેરેન ક્રેન’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 8 ફૂટ ઊંચા આ કલશને ક્રેનની મદદથી શિખરના મધ્ય ભાગ સુધી લઈ જઈને ભગવાન સોમનાથના શિખર પર જલાભિષેક કરવામાં આવ્યો હતો.
સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનું વિમોચન
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની સ્મૃતિમાં એક વિશેષ ‘સ્મારક ટપાલ ટિકિટ’ અને ‘સ્મારક સિક્કો’ પણ જારી કર્યો છે. પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે મંદિરમાં ધ્વજારોહણ કર્યું અને ‘વિશેષ મહાપૂજા’માં પણ બેઠા હતા. તેમણે પોતાના સંબોધનમાં સોમનાથને ભારતના સ્વાભિમાનનું કેન્દ્ર ગણાવ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સાહનું વાતાવરણ
8 થી 11 મે સુધી ચાલનારા આ ચાર દિવસીય મહોત્સવમાં દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોના કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરી રહ્યા છે. મંદિર પરિસરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે સોમનાથનો નજારો સ્વર્ગ જેવો ભાસે છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર એક પ્રસંગ નથી, પરંતુ એક આદ્યાત્મિક અનુભૂતિ છે.
સરદાર પટેલના સ્વપ્નનું સાકાર રૂપ
આ અમૃત મહોત્સવ એ વાતની પણ યાદ અપાવે છે કે કેવી રીતે આક્રમણખોરો દ્વારા વારંવાર લૂંટાયેલા અને ખંડિત કરાયેલા સોમનાથ મંદિરે દરેક વખતે નવો અવતાર ધારણ કર્યો છે. આઝાદી પછી સરદાર પટેલે જ્યારે આ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ લીધો, ત્યારે ઘણાએ વિરોધ કર્યો હતો, પરંતુ આજે સોમનાથ મંદિર ભારતની એકતા અને અખંડિતતાનું સૌથી મોટું પ્રતીક બની ગયું છે.

