ચીન તેની નફ્ફટાઈ થી ઉંચુ આવતું નથી અને સેના પાછી હટાવવા ના માત્ર નાટક કરી ત્યાંજ કબ્જો જમાવી દેતા હવે ભારતીય સેના એ પણ કાતિલ ઠંડી માં પણ મોરચો સંભાળી રાખ્યો છે.
ભારત અને ચીન વચ્ચે અનેક તબક્કાની મંત્રણા પછી પણ પૂર્વ લદાખથી સેના હટાવવા અંગે કોઈ નિરાકરણ આવી શક્યું નથી, જેથી લગભગ નક્કી થઈ ગયું છે કે બંને દેશોના સૈનિકોને કાતિલ ઠંડીમાં પણ અનેક મહિના સુધી તહેનાત રહેવું પડશે. ગત 6 નવેમ્બરે કોર કમાન્ડરો વચ્ચે 8 તબક્કાની મંત્રણા પછી પણ અત્યાર સુધી બંને દેશો વચ્ચે કોઈ સકારાત્મક ઉકેલ નહિ આવતા છેલ્લા સાત મહિનાથી ચાલી રહેલો સૈન્ય ગતિરોધ હજુ પણ યથાવત્ છે.
ચીને અત્યાર સુધી નવમા તબક્કાની સૈન્ય મંત્રણા માટે કોઈ તારીખ જણાવી નથી.’ એવું જણાવાયું છે કે ચીન હજુ પણ એ વાત પર જક્કી વલણ ધરાવે છે કે સેનાને પાછી હટાવવાના પ્રસ્તાવને પેંગોંગ સરોવર-ચુશૂલ વિસ્તારના દક્ષિણ કિનારેથી લાગુ કરવામાં આવે જ્યાં ભારતીય જવાનો 29 ઓગસ્ટથી જ વ્યૂહાત્મક રીતે ડ્રેગન સામે અડગ ઊભા છે. ભારતે ભારપૂર્વક જણાવી દીધું છે કે પેંગોંગ સરોવરના ઉત્તર કિનારે ફિંગર 4થી લઈને ફિંગર 8 સુધીના 8 કિમીના વિસ્તાર પર ચાઈનીઝ સેનાએ મે મહિનાથી જ કબજો જમાવી રાખ્યો છે તે વિસ્તારમાં જ્યારે ચીનીઓ હઠે પછી જ ભારતીય સેના પાછી હઠસે.
દેપસાંગમાં છેલ્લા સાત મહિનાથી ચાઈનીઝ સેના ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતા અટકાવે છે. 8મા તબક્કાની મંત્રણા પછી ભારત અને ચીન ઘણાખરા અંશે એ વાત અંગે સહમત થયા હતા કે સૈનિકો, ટેન્ક, તોપ અને આર્મ્ડ વ્હીકલ્સને પેંગોંગ સરોવર-ચુશૂલ વિસ્તારના અગ્રિમ મોરચેથી પાછળ હટાવવામાં આવે. તેનાથી આ સંકટના ટૂંકમાં જ ઉકેલ લાવવાની આશા જાગી હતી પણ અત્યાર સુધી સૈનિકોને પાછળ હટાવવા અંગે કોઈ સહમતિ સાધી શકાઈ નથી.
ચીન અને ભારત બંનેએ લગભગ 50-50 હજાર સૈનિકોને આ વિસ્તારમાં તહેનાત કરી રાખ્યા છે. ભારતીય સુરક્ષા પ્રતિષ્ઠાનો માને છે કે જો ટોચના રાજકીય-રાજદ્વારી સ્તર પર હસ્તક્ષેપ નહીં થાય તો બંને દેશોના સૈનિકોની વર્તમાન તહેનાતી જ એલએસીમાં તબદિલ થઈ જશે. બીજીતરફ, વરિષ્ઠ અધિકારીઓએ ભારપૂર્વક કર્યુ છે કે ભારતે સૈનિકોને હટાવવામાં કોઈ ઉતાવળ ન કરવી જોઈએ.
એક અધિકારીએ કહ્યું હતું કે 15 હજાર ફૂટની ઊંચાઈ પર તાપમાન માઈનસ -20 ડિગ્રી સે. પહોંચી ગયું છે. કાતિલ પવન ફૂંકાય છે અને ઓક્સિજનનું સ્તર પણ ઓછું થઈ રહ્યું છે.
